વાંકાનેરની અરૂણોદય સોસાયટીને કન્ટેઇન્ટમેન્ટમાંથી મુકત કરવા માંગણીઃ ડેપ્યુ. કલેકટરને આવેદન અપાયું
વાંકાનેર તા. ર૩: વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં ગત તારીખ ૧૧-પ-ર૦ર૦ના રાજકોટની સ્ક્રાઇટ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા આ સોસાયટીના રહીશ જીતુભા બી. ઝાલા નામના પ્રૌઢનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવતા અડધી અરૂણોદય સોસાયટી ફરતે પતરાની આડસ મારી ૪૦ થી વધુ ઘરના રપ૦થી વધુ લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ સાથે ર૮ દિવસ માટે આટલો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરી વહીવટી તંત્રએ આવન જાવન સદંતર બંધ કરી દીધો હતો.
અરૂણોદય સોસાયટીના રહીશ અને જેમનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવેલ તે, નવ દિવસના અંતે સંપુર્ણ સ્વસ્થ્ થઇ ગયા હતા અને તેમનો નેકસ ટેસ્ટ પણ નેગેટીવ આવી જતા તેમને સ્ક્રાઇટ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા જીતુભાના સંપર્કમાં આવેલા તમામના કોરોના રીપોર્ટ કર્યા હતા તે તમામના રીપોર્ટ પણ નેગેટીવ આવી ગયા હતા ગત તા. ૧૧-પ-ર૦ર૦ થી કન્ટેઇન્ટમેઇન્ટ ઝોનમાં રહેલા લોકો અકળાયા હોય અને આ અંગેની આ વિસ્તારના નગર સેવકો ભાટી એન., જયંતિભાઇ ધરોડીયા, ચંપાબેન પનારા ને સોસાયટીના રહીશો દ્વારા રજુઆતના અંતે ઉપરોકત નગર સેવકોએ વાંકાનેરના પ્રાંત અધીકારી એન. એફ. વસાવાને આવેદનપત્ર આપી મોરબી જીલ્લો ગ્રીન ઝોન છે એકપણ કેઇસ નથી વાતાવરણ સ્વચ્છ છે તો આ સોસાયટી ફરતે લગાવેલા પતરાની આડશ વહેલી તકે હટાવી ત્યાંના રહીશોને પણ હવે કન્ટેઇન્ટમેન્ટ માંથી મુકતી આપવી જોઇએ તેવી માંગણી સાથે રજુઆત કરી હતી.