ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન પુરો : દર્દીઓના જીવ તાળવે
સાંજ સુધીમાં ઓકિસજનની વ્યવસ્થા ન થાય તો હોસ્પિટલો બંધ કરવી પડે તેવી સ્થિતિઃ સરકારી અધિકારીઓના મોબાઇલ સ્વીચ ઓફ : હોસ્પિટલોમાં અફડાતફડી
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૩ : ગોંડલ બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલોમાં આગેવાનોએ મારીમચડીને ઓકિસજન પૂરો કર્યા બાદ ૨૪ કલાક જેવો સમય વીતવા છતાં પણ સરકારી તંત્ર પાસે હોવા છતાં પણ ફરી ઓકિસજન પૂરો ના પાડી શકતા હાલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે.
જો સરકાર દ્વારા સાંજ સુધીમાં ઓકિસજનની વ્યવસ્થા ન કરવામાં આવે તો સાંજે ક્રિષ્ના, શ્રીજી, શ્રીરામ સહિતની હોસ્પિટલો બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હોવાનું ડો. ભરત શિંગાળાએ જણાવ્યું છે.
ગોંડલ શહેરની ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ અનેક અમૃતકુંભ હોસ્પિટલમાં ઓકિસજનનો જથ્થો માત્ર અડધી કલાક ચાલે તેટલો જ હોય દર્દી અને તેના સગા વ્હાલાઓને જીવ તાળવે ચોંટી જવા પામ્યો છે સરકારી તંત્ર વામણું સાબિત થયું હોય જવાબદાર અધિકારીઓએ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યા છે.
મોડી રાત સુધી આગેવાનોએ દોડધામ કરી બે દિવસ પહેલા ૨૪ કલાક ચાલે તેટલો ઓકિસજન પૂરો પાડયો હતો ગતરાત્રીના પણ આવા જ પ્રયત્નો હાથ ધર્યા હતા સરકાર પાસે ૨૪ કલાકનો સમય હોવા છતાં પણ આજે ઓકિસજન પૂરો ન પડ્યો હોય દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક હોસ્પિટલમાં તો ઓકિસજન ન હોવાના કારણે દર્દીનું મોત નિપજયું છે.