કચ્છમાં તંત્ર દ્વારા કેસ અને મોતની સંખ્યા પછી હવે
કચ્છમાં હોસ્પિટલના બેડના આંકડાની રમત- નેતાઓ મૌન, પ્રજા લાચાર
કોરોનાથી ત્રસ્ત પ્રજાનો પોકાર સરકારના કાને પહોંચતો નથી : ઓકસીજનવાળા બેડ : ઇન્જેકશન મેળવવા ભલભલાનો ફાંકો ઉતારી દે તેવું લોઢાના ચણા ચાવવા જેવું કામ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્છ કોરોનાની નાગચૂડમાં ફસાયું છે. એક બાજુ દર્દીઓની સંખ્યા વધી રહી છે, બીજી બાજુ તંત્ર હજીયે આંકડાની રમતમાં વ્યસ્ત છે. તંત્ર દ્વારા ભુજમાં છેલ્લા આંકડા મુજબ સત્ત્।ાવાર રીતે સરકારી હોસ્પિટલમાં ૩૩૩ અને ખાનગી હોસ્પિટલમાં ૪૩ એમ કુલ ૩૭૬ ખાલી બેડ દર્શાવાયા છે.
આ આંકડા ભુજના છે. જયારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં મળીને કુલ ૧૨૬૦ બેડ ખાલી દર્શાવાયા છે. જો, આટલા બધા બેડ ખાલી હોય તો ભુજમાં એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગે? કોરોનાગ્રસ્ત દર્દીઓને ભુજમાં બેડ ખાલી નથી એવો જવાબ અને કડવો અનુભવ કેમ મળે? એ વાત ખરી છે કે, દર્દીઓ વધ્યા છે, પણ ચુંટણીઓમાં પ્રજાની વચ્ચે પહોંચતાં નેતાઓ અત્યારે પ્રજાની લાચારી સમયે કયાં છે? પક્ષના કાર્યાલય માંથી પણ કન્ટ્રોલરૂમ સાથે દર્દીઓને માર્ગદર્શન તો આપી શકાય ને? વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરીમાં હેલ્પ ડેસ્ક સાથે કન્ટ્રોલરૂમ ખોલી, તાલુકા લેવલ સુધીના નેટવર્ક સાથે પણ દર્દીઓના પરિવારજનોને માહિતી માર્ગદર્શન તો આપી શકાય ને? ગત વર્ષે કોરોના સમયે હોસ્પિટલના નામ જોગ બેડ અંગે માહિતી આપતી હતી, તો હવે કેમ નહીં? વાત અત્યારે કોરોનાની બીજી લહેરમાં આપત્ત્િ।ના આ સમય વચ્ચે લોકોમાં પ્રવર્તતી બેડ અંગેની ચિંતા અને સારવારનો ભય દૂર કરવાની છે.
અત્યારે કોરોનાના દર્દીને કોરોના અંગેના માનસિક ટેન્શન વચ્ચે સારવારનું ટેન્શન ઊભું થાય છે. જે દર્દી તેમ જ તેમના પરિવારજનોની માનસિક સ્થિતિ બગાડે છે. જે સરકાર અને તંત્રને કોરોના સમયે કચ્છી પ્રજાએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડ ઉદાર હાથે પૈસા આપ્યા એ પ્રજાને હવે સારવાર માટે લાચાર બને એ વાત લોકોના હૃદયને ખૂંચે છે. અત્યારે પણ અનેક સામાજિક તેમ જ ધાર્મિક સંસ્થાઓ મુખ્યમંત્રીની અપીલને પગલે સ્વખર્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આગળ આવી છે. પણ વધુ તકલીફ ધરાવતા ગંભીર દર્દીઓ માટે સારવાર અંગે યોગ્ય માર્ગદર્શનની વ્યવસ્થા ન હોઈ તેઓ મૂંઝવણ અને લાચારી અનુભવે છે. તંત્ર આંકડા આપે છે, પણ જરૂરી તબીબી સુવિધા માટે દર્દી અને સગા વ્હાલઓ એમ્બ્યુલન્સ સાથે દોડતાં રહે છે. પ્રજાનો આ પોકાર તંત્રની આંકડાઓની રમતમાં અને નેતાઓના મૌનને કારણે સરકાર સુધી પહોંચતો નથી. લોકો તંત્રમાંથી વિશ્વાસ ગુમાવે એ પહેલાં સરકાર નહીં જાગે તો લાચાર પ્રજાની હાય ભરખી જશે.