કેશોદ પાસે કાર પલ્ટી જતા ઉનાના ર વૃદ્ધાના મોત
માતાના મઢ-કચ્છથી દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત નડયો : ર ને ઇજા
જુનાગઢ, તા. ર૩ : કેશોદ પાસે આજે સવારે કાર પલ્ટી મારી જતા માતાના મઢના દર્શન કરીને પરત આવતા ઉનાના બે વૃદ્ધાનું મૃત્યુ થયાનું અને બેથી વધુ વ્યકિતને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.
આ અકસ્માત અંગે મળેલી પ્રાથમિક વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રહેતા ભાવિનભાઇ મેઘજીભાઇ સોલંકી ઉ.વ. ર૦) વગેરે કચ્છમાં માતાના મઢના દર્શને ગયા હતાં.
દરમ્યાનમાં આજે સવારે ભાવિન સોલંકી વગેરે જીજે-૧૧-એસ-૩૯૬ર નંબરની વેગન-આર કારમાં પરત ઉના જઇ રહ્યા હતાં.
ત્યારે સવારે ૭ના અરસામાં આ કાર કેશોદ નજીકના સોંદરડાના પાટીયા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઇ હતી.
આ સર્જાયેલ અકસ્માતમાં લક્ષ્મીબેન મેઘજીભાઇ સોલંકી (ઉ.વ.૬પ) તથા ગીતાબેન જસવંતભાઇ ઠાકોર (ઉ.વ.૬૦)નું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.
જયારે ભાવિનભાઇ અને સાગર મનસુખભાઇ (ઉ.વ.ર૮)ને ઇજા થતાં કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતાં.
આ અકસ્માતની જાણ થતા ૧૦૮ સેવાના કર્મચારીઓ અને પોલીસ દોડી જઇને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતાં.