ઉપલેટામાંથી પાણીનો વ્યય કરનાર આસામીઓના નળ કનેકશન કાપી આકરો દંડ કરાશે
નગરપાલિકાના પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાએ એક નિવેદનમાં જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી બાબતે ઉપલેટાની જનતા સૌથી વધુ સુખી છે. શહેરમાં નગરપાલિકા દર ત્રણ દિવસે નળ દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપે છે. સોસાયટીઓના છેવાળાના વિસ્તારોમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે. ર૦૧૪/૧પ ના દુષ્કાળના વર્ષમાં પણ જયારે શહેરને પાણી પુરૂ પાડતા મોજ અને વેણુ ડેમના પાણી સાવ ખલાશ થઇ જતા ત્યારે તાત્કાલીક ધોરણે બાજુના ભાદર-ર ડેમનું પાણી ફકત એક મહિનામાં પાઇપ લાઇન નાખી લોકોને પાણીની મુશ્કેલી પડવા દીધી નથી અને હાલમાં પણ શહેરના તમામ લોકોને જુન સુધી પાણી મળી રહે તેવો અમારો પ્રયાસ છે તેમાં લોકોનો સહકાર જરૂરી છે અને આવતા વર્ષથી નર્મદાનું પાણી પણ આપણને મળવા લાગશે ત્યારે પાણીની કિંમત સમજી પાણીનો બગાડ ન કરવો જોઇએ શહેરના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે પાણીનો બગાડ કરવામાં આવે છે જે દિવસે પાણીનો વારો હોય તે દિવસે ફળીયા અને રોડ રસ્તાઓ ધોવામાં આવે છે પાણીના છંટકાવ કરવામાં આવે છે જો આવો જ બગાડ ચાલુ રહે તો ઉનાળાના પાછલા દિવસોમાં આપણે પાણીની મુશ્કેલી ભોગવવી પડશે અને આવો બગાડ કરનારાઓ આસામીઓ સામે નગરપાલિકા નળ કનેકશન કાપી નાખી આકરો દંડ વસુલ કરશે.