સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd March 2018

તમાકુના સેવનથી આરોગ્ય ઉપર થતી ભયાનક અસરો રોકવા કામગીરી

અમરેલીમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત તાલીમ યોજાઇ

અમરેલી તા. ૨૩ : તમાકુનું વ્યસન માત્ર શારીરિક જ નહિ પરંતુ આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ પણ વધારે છે. તમાકુના કારણે મોઢા-ફેફસાનું કેન્સર અને બીજા ઘણા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુના વ્યસને સમાજના ગરીબ-તવંગર, શિક્ષિત-અશિક્ષિત, નોકરિયાત-બેરોજગાર, મહિલા-પુરૂષ, બાળકો-વિદ્યાર્થીઓને પણ તમાકુ અને તેના વ્યસનના ભરડામાં સપડાઇ જાય છે અને તમાકુ-તમાકુ સેવનની સમસ્યા ઘણી ચિંતાજનક બનતી જાય છે.

તમાકુના કારણે થતાં રોગો અટકાવી શકાય તેના ભાગરૂપે તમાકુના સેવનથી આરોગ્ય પર થતી ભયાનક અસરોને રોકવા અને તેને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ના સઘન અમલીકરણ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસર (તમાકુ નિયંત્રણ)ની સૂચનાથી અને ઇએમઓ અને જિલ્લા કન્સલટન્ટ અને કયુએએમઓશ્રીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સેલરશ્રી દ્વારા ધ્રૂમપાન-તમાકુના સેવનથી થતાં રોગો અંગે માહિતી માર્ગદર્શન આપવા પોલીસ સ્ટાફની તાલીમ યોજવામાં આવી હતી.

વ્યસન કરતાઓની શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અસરો, વ્યસન છોડવાના ફાયદાઓ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અને વ્યસન છોડાવવામાં કાઉન્સેલીંગનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત માર્ગદર્શન પોલીસ કર્મચારીઓને મળી રહે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમમાં પોલીસ કચેરીના સ્ટાફ, સામાજિક કાર્યકરશ્રી તથા સંબંધિતો ઉપસ્થિત રહ્યા હતા, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તમાકુ નિયંત્રણ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૩)

(10:03 am IST)