સોમનાથ દાદાનો પ્રસાદ હવે ઘરે બેઠા જ મળશે
સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર : સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત છે, લાંબા સમય સુધી સારો રહી શકે છે
સોમનાથ ,તા.૨૨ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ભક્તો માટે ખુશીના સમાચાર છે. સોમનાથ મંદીરનો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ ભાવિકોનાં ઘર સુધી પહોંચાડશે. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો ૨૫૦ રૂપિયામાં ભારતીય ડાકનાં માધ્યમથી સમગ્ર ભારતમાં મળશે. ૨૦૦ ગ્રામ મગજનાં લાડુ અને ૨૦૦ ગ્રામ ચીક્કી ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બેથી ત્રણ દિવસમાં પહોંચાડશે. આજથી સમગ્ર દેશના કોઈપણ ખૂણે દાદા સોમનાથનાં ભક્તોને માત્ર ૨૫૦/-રૂપિયા જેવી નજીવી કિંમતે ૪૦૦ ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવામાં આવશે. જેના માટે કોઈપણ વ્યક્તિએ નજીકની પોષ્ટ ઓફીસનો જ સંપર્ક કરવાનો રહેશે.
ભક્તોને આજથી જ રૂ?.૨૫૦/- (પેકીંગ શીપીંગ ચાર્જ સાથે) અલગથી મનીઓર્ડર ચાર્જ ચુકવી ભારત દેશના તમામ પ્રદેશો ખાતે પોસ્ટ ઓફિસ ખાતેથી પ્રસાદ માટે રજીસ્ટ્રેશન કરાવી પ્રસાદી મેળવી ધન્ય બની શકશે. જેમા સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા ૨૫૦નું મનીઓર્ડર કરવાથી બેથી ત્રણ જ દિવસમાં ભાવિકોને પોતાના ઘરે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પ્રસાદ મળી જશે. આ સંદર્ભે સોમનાથ ખાતે આવેલા રામ મંદિરના ઓડિટોરિયમમાં આજે સોમનાથ ટ્રસ્ટ અને પોષ્ટ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી અને પોષ્ટ વિભાગનાં અધિકારીઓએ ઈ-સિસ્ટમ દ્વારા આ સુવિધાની શરૂઆત કરી હતી. સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત છે. લાંબા સમય સુધી સારો રહી શકે છે. પોષ્ટ વિભાગ પણ ડાયનેમિક બન્યું છે. આથી ટૂંકા સમયમાં જ સોમનાથનાં ભક્તોને નજીવી રકમે ભારતનાં કોઈપણ સ્થળ સુધી પ્રસાદ પહોંચાડવામાં આવશે. આથી સોમનાથનાં ભક્તોમાં ખુશી વ્યાપી છે.