સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd February 2019

યાત્રાધામોની સ્વચ્છતાએ જ સરકારની પ્રાથમિકતા : વિજયભાઇ

સોમનાથ મંદિરનો ઝળહળતો ઇતિહાસ માનવ સંસ્કૃતિ પ્રેરણા આપે છે : કેશુભાઇ પટેલ : સોમનાથ દ્વાદશ જયોતિર્લિગ સમારોહનો વિજયભાઇના હસ્તે પ્રારંભ : કાલે અમિતભાઇનુ આગમનઃ ત્રિદિવસીય મહોત્સવમાં સેમીનાર ત્રિવેણીસંગમ મહાઆરતી, જય સોમનાથ શો સહિતના કાર્યક્રમો

દ્વાદશ જયોર્તિલિંગ પૂજન સાથે પ્રારંભ : પ્રભાસ પાટણ : સોમનાથ જયોર્તિલીંગ મહોત્સવ દ્વાદશ જયોર્તિલીંગ પૂજન સાથે પ્રારંભ બાર જયોર્તિલીંગ પાર્થિવ શિવલિંગની દરેક જયોર્તિલીંગ પુજારી અને ટ્રસ્ટીઓ દ્વારા પૂજન કરવામાં આવેલ તેમાં સોમનાથના ટ્રસ્ટના કેશુભાઇ પટેલ, પ્રવિણભાઇ લહેરી, અને પુજારી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય -પ્રભાસ પાટણ)

ગીર સોમનાથ તા. ૨૩ : ભારત વર્ષના શ્રદ્ઘાના પરમ કેન્દ્ર એવા સોમનાથ મહાદેવના મંદિરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ સમારોહમાં સહભાગી થતા પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્વાદશ જયોતિર્લિંગ સમારોહના ચાંદી જડીત ધ્વજદંડનુ પણ આસ્થા પૂર્વક પૂજન કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથદાદાને શિશ નમાવી ગુજરાતની શાંતિ, સલામતિ અને પ્રગતિની પ્રાર્થના કરી હતી.

સોમનાથ મંદિરમાં દર્શન વેળાએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ, સાંસદશ્રી ચુનિભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણી, પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ સાંસદશ્રી દિનુભાઇ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહ–૨૦૧૯માં સોમનાથ મહાદેવના દર્શન કરી આસ્થા પૂર્વક જણાવ્યું કે, સંસારના સર્વજન કલ્યાણક શિવની આરાધના સાથેનો આ સમારોહ ભારતની એકતા, અખંડિતતા અને શ્રદ્ઘાને મજબૂત બનાવશે.

મુખ્યમંત્રીશ્રીએ દ્વાદશ જયોતિર્લિંગ સમારોહમાં પધારેલા વિવિધ રાજયોના સંતો, શિવભકતો તેમજ ઉજ્જૈન મહાકાલેશ્વરના ભકતોને આવકાર્યા હતા. સોમનાથ મહાદેવનું મંદિર અનેક આક્રમણો છતા પુનઃ સ્થાપિત થયું અને તેના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલના સંકલ્પ અને વિરાટ કાર્યને વંદન કર્યા હતા. સોમનાથદાદાના સ્વયં પ્રાગટ્ય શિવલિંગના દર્શન કરી ભકતો દિવ્યતાની પ્રતીતિ કરે છે તેમ પણ કહ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિરાટ કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમને કાશ્મીરનુ કાર્ય સ્વતંત્ર સોંપવામાં આવ્યુ હોત તો આજે કાશ્મીરની સ્થિતી જુદી હોત. મુખ્યમંત્રીશ્રીએ શિવ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરનારા, વિષ પીને પણ સંસારનુ દુઃખ દૂર કરનારા છે, તેમની આરાધના જીવ થી શિવ સુધીનુ મિલન કરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના યાત્રાધામોના વિકાસ અને સ્વચ્છતા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરેલા અભિયાનની માહિતી આપી જયાં સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના મંત્રને વરેલી આ સરકાર છે તેમ પણ કહ્યુ હતુ.

ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત જુનાગઢના ભવનાથના મેળાને ગિરનાર શિવરાત્રી કુંભ મેળા તરીકે વિશિષ્ટ અને ગરીમા પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તે અંગે શિવભકતોને શુભેચ્છા આપી સહભાગી થવા અનુરોધ કર્યો હતો.ઙ્ગ

સોમનાથ મંદિર વધુને વધુ કિર્તીમાન, દિવ્ય અને ભવ્ય બની રહ્યુ છે તે અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી અમિતભાઇ શાહ અને ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવોના પ્રયાસો અને દાતાઓના યોગદાનની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મહામૃત્યુંજય યજ્ઞમાં સહભાગી થઇ આહુતી આપી દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં દ્વાદશ જયોતિર્લિંગની ભસ્મ, જળ અને માટીથી બનાવેલ ૧૨ શિવલિંગના મુખ્યમંત્રીશ્રી દર્શન કરી પૂજન કર્યુ હતુ.ઙ્ગ

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલે સોમનાથ મંદિરમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ પ્રભાસ ક્ષેત્રના ભવ્ય ઇતિહાસ, શ્રી કૃષ્ણના તીર્થ સ્થળો, ભાલકાતીર્થ ત્રિવેણી સંગમ અને હરિથી હરની કથાની રસપ્રદ માહિતી આપી હતી.

શ્રી કેશુભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જનકલ્યાણના કાર્યોની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં સતત બીજા વર્ષે યોજાય રહેલા જળ અભિયાનથી ૧૪૦૦૦ તળાવો નવ સાધ્ય થશે તે વિરાટ કાર્યને આવકારી ગુજરાતને સમૃદ્ઘ જળ વારસો મળશે તેમ જણાવ્યુ હતુ.ઙ્ગ

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પી.કે.લહેરીએ કહ્યુ કે, સૌ પ્રથમ દ્વાદશ સમારોહ ઉજ્જૈન તીર્થ સ્થળ ખાતે યોજાયો અને ત્યાંથી ઓલમ્પીક ધ્વજની જેમ દ્વાદશ જયોતિર્લિંગ ધ્વજ સોમનાથ લાવી આ સમારોહ સોમનાથ પરિસરમાં યોજવામાં આવ્યો છે. આ ધ્વજ એક વર્ષ સુધી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે રહેશે.ઙ્ગ

આ સમારોહમાં સૌ પ્રથમ કાશ્મીરના પુલવામા હુમલાના શહિદોને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો-ભકતોએ શ્રદ્ઘાંજલી આપી હતી.ઙ્ગ

આ સમારોહમાં અમદાવાદના સંત શ્રી આદ્યાત્મનંદ, સાંસદશ્રી ચુનિભાઇ ગોહેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રૈયાબેન જાલંધરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણી, પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ સાંસદશ્રી દિનુભાઇ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૩)

 

(3:20 pm IST)