ગડુ ખાતેથી હેલીકોપ્ટર ઉડાન ન ભરી શકતા અમિતભાઇ બાય રોડ રાજકોટ આવ્યા'તા
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨ : ગડુ ખાતે હેલિકોપ્ટર ઉડી ન શકતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની ભુજ ખાતેની સભા રદ થવા પામી હતી.
ગઇ કાલે સોમવારે ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સોરઠમાં ચૂંટણી પ્રચાર પ્રવાસે આવ્યા હતા. કોડીનાર ખાતે જનસભા બાદ તેઓ હેલિકોપ્ટર મારફત જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના ખાતે સભા માટે પહોંચ્યા હતા.
માળીયાની સભા પૂર્ણ કરીને શ્રી શાહ ભૂજ જવા માટે ગડુ ખાતેના હેલીપેડ પર આવ્યા હતા. પરંતુ હેલીકોપ્ટર ટેકનીકલ ખામી સર્જાતા હેલીકોપ્ટર ઉડાન ભરી શકયુ ન હતું.
આથી અમિતભાઇ કારમાં કેશોદ એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ અત્રે સાંજના સમયે પ્લેન લેન્ડીંગ કરી શકે તેવી સુવિધા ન હોવાથી અંતે શ્રી શાહનો કાફલો વાયા જૂનાગઢ થઇને કાર મારફત બાય રોડ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
આ દરમ્યાન રાત થઇ જતા શ્રી શાહની ભુજ ખાતેની જનસભા રદ થઇ હતી.