સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd November 2022

ભાવનગરમાં જીએસટી કરચોરીમાં કૌભાંડમાં ૨ અધિકારીઓની ધરપકડ

લોખંડના સળીયા ભરેલા ૨ ટ્રક ઝડપાયા બાદ જીએસટી બીલ મળ્‍યુ ન હતુઃ અધિકારીઓની સંડોવણી ખુલ્લી'તી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: ભાવનગરમાંથી સૌપ્રથમ વખત જીએસટીના બે અધિકારીઓની જીએસટી કરચોરી કૌભાંડમાં સામેલગીરીના મામલે ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબતાજેતરમાં ભાવનગર અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયા પાસે સનેશ ગામ નજીક લોખંડના સળિયા ભરેલા બે ટ્રક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા પકડવામાં આવ્‍યા હતા અને તપાસ દરમિયાન તેઓ પાસેથી જીએસટી બિલ મળી આવ્‍યું ન હતું. આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ દ્વારા મળગેશ અઢિયા ઉર્ફે ભૂરો , દેવાંશુ ગોહેલ, ધ્રુવિત માંગુકિયા, મલય શાહ, દીપક મંકોડિયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી રિમાન્‍ડ મેળવવામાં આવ્‍યા હતા . રિમાન્‍ડ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

આરોપીઓની આગવી ઢબે કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરા સીજીએસટીના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ નીરજ મીણા અને ભાવનગર સ્‍ટેટ જીએસટીના મોબાઈલ સ્‍કોડના પ્રિતેશ દુધાતની સામેલગીરી જણાવી હતી. આ બંને જીએસટી અધિકારીઓ વિરુદ્ધ અગાઉ પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા નીરજ વીણા અને પ્રિતેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે મંગળવારે આ બંને જીએસટી અધિકારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્‍ડની માંગણી કરવામાં આવનાર છે. જીએસટી બોગસ બિલ્‍ડીંગ કૌભાંડમાં અત્‍યાર સુધીમાં અનેક ભેજાબાજોની ધરપકડ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ જીએસટીના અધિકારીઓની સામેલગીરી હોવા છતાં અત્‍યાર સુધી આંકડા કાન જીએસટી તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જીએસટી કૌભાંડમાં જીએસટીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે ધરપકડ કરવામાં આવેલા જીએસટીના અધિકારીઓ નીરજ મીણા અને પ્રિતેશ દુધાત જો તપાસ દરમિયાન વટાણા વેરી દેશે તો જીએસટીના અનેક ઉચ્‍ચ અધિકારીઓની સામેલગીરી જણાઈ આવશે. આમ જીએસટી કચોરીના કૌભાંડમાં ખુદ જીએસટીના અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવતા ભાવનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

(1:26 pm IST)