પેપર ફૂટતા નથી, વેંચાય છે : અરવિંદ કેજરીવાલ અમરેલીમાં પ્રહારો
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રીનો રોડ-શો યોજાયો : ભાજપ - કોંગ્રેસની નિતી સામે આક્રોશ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૨ : આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર દસ જ દિવસો બાકી છે. આમ આદમી પાર્ટી વિરોધી પાર્ટીઓને કાંટાની ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા પાર્ટીની જીત માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. કાલે પણ અરવિંદ કેજરીવાલે અમરેલીમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી ૧ માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંનાં લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે ૨૪ કલાક અને મફત વીજળી આપીશું.
૧૮ વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને રૂા. ૧૦૦૦ સન્માન રાશિ જમા કરાવીશું. જો ૧૮ વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ઈં ૧૦૦૦ જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે. પેપર ફૂટતા નથી પણ વેંચાય છે તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે.
૨૭ વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, ૨૭ વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં ૬ વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ ૨૭ વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી ૫ વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને ૨૭ વર્ષ આપ્યા, મને માત્ર ૫ વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો. તેમ અંતમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.