જુનાગઢ જિલ્લામાં આજે પોણા બે વર્ષ બાદ ધો. ૧ થી પ નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ
તમામ શાળાઓના આચાર્યોને વાલીઓની સંમતિ પત્રક મેળવવા અને વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરવા આદેશ આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયઃ ૧૧૮૩ શાળાઓના ૯૭૯૪૦ વિદ્યાર્થીઓ આજથી અભ્યાસમાં જોડાશેઃ ૭પ૦ આચાર્યોનો વેબિનાર
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.રર :.. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય દ્વારા ધો. ૧ થી પ નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાયુ છે જે અંગે માહિતી આપતા શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોરોના બીજી લ્હેર સમાપ્તિ બાદ રાજય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા આજથી ધો. ૧ થી પ નું ઓફ લાઇન શિક્ષણ શરૂ કરાયુ છે.
જુનાગઢ શહેર ગ્રામ્ય સહિત ૯ તાલુકાઓમાં સરકારી અને ખાનગી ધો. ૧ થી પ ની ૧૧૮૩ શાળાઓના ૯૭૯૪૦ વિદ્યાર્થીઓ આજથી પ્રત્યક્ષર શિક્ષણમાં જોડાય રહ્યા છે પોણો બે વર્ષ બાદ પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ થતા શાળા સંચાલકો તથા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ આનંદની લાગણી વ્યકત કરી રહ્યા છે.
શ્રી આર. એસ. ઉપાધ્યાયએ દરેક શાળાના જિલ્લાના તમામ ટીપીઇઓ કેળવણી નિરીક્ષકો બીઆરસી સીઆરસી અને જિલ્લા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સની મીટીંગ કરી જણાવેલ કે શાળાએ આવતા દરેક વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીની કોરોના અંગેની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડીસટન્સનો અમલ માસ્ક ફરજીયાત પહેરવા તેમજ ૧૧.૩૦ સુધીમાં ઓનલાઇન હાજરી પુરવાની રહેશે તેમજ હાલ સામુહિક પ્રવૃતિ કરી શકાશે નહીં. તેવી સુચના આપી હતી. તેમજ આજથી ધો. ૬ થી ૧ર માં દ્વિતીય સત્ર શરૂ કરાયુ છે જે અંગે શ્રી ઉપાધ્યાય આજે જિલ્લાના ૭પ૦ થી વધુ આચાર્યોનો વેબીનાર યોજી વિદ્યાર્થીઓ અને અભ્યાસને લગતી બાબતોની ચર્ચા કરાશે.