રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં ભાણેજનો પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતી વખતે ટ્રેન હડફેટે ધોરાજીના છત્રાસા ગામના ગોરધનભાઇ કાચાનું મોત
માલધારી ફાટક પુલની નીચે બનાવ : પાટાની બાજુની જગ્યામાંથી નીકળતી વખતે ટ્રેન આવી જતા જીવ ગયો
રાજકોટ,તા. ૨૨ : રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં ભાણેજના પ્રસંગ પૂર્ણ કરી ધોરાજીના છત્રાસા ગામે જવા માટે નીકળેલા વૃધ્ધનું માલધારી ફાટક પુલ નીચે ટ્રેનની હડફેટે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ધોરાજીના છત્રાસા ગામમાં રહેતા ગોરધનભાઇ ત્રીકમભાઇ કાચા (ઉવ. ૬૦)ના રાજકોટ રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં રહેતા ભાણેજના ઘરે પ્રસંગ હોય, તે તેની પત્નિ તથા ભાઇ સહિતના પરિવારજનો સાથે રાજકોટ આવ્યા હતા. ગઇ કાલે પ્રસંગ પૂર્ણ કરી પોતે પરિવાર છત્રાસા ગામે જવા માટે નીકળ્યા હતા અને માલધારી ફાટક પાસે પુલ નીચે પાટાની બાજુમાં જગ્યામાંથી નિકળવા જતા ટ્રેન આવી જતા ટ્રેનની ઠોકર લાગતા કપાઇ જતા કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી વૈશાલીબેન તથા પાઇલોટ અમીતભાઇ ગૌસ્વામીએ સ્થળ પર પહોંચી વૃધ્ધનું મૃત્યુ નિપજ્યુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ વી.બી. સુખાનંદી સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. વૃધ્ધના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.