લોધીકાના ખિરસરામાં નયના ચાવડા દાઝીઃ ત્રાસને લીધે સળગ્યાનો આક્ષેપ
વણકર પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
રાજકોટ તા. ૨૨: લોધીકાના ખિરસરામાં રહેતી નયનાબેન અશોક ચાવડા (ઉ.૨૩) નામની વણકર પરિણીતા દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં સ્ટવ પર રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી ગયાની નોંધ કરાવાઇ હતી. જો કે તેણીના માવતર પક્ષે સાસુના ત્રાસને કારણે નયનાબેને અગ્નિસ્નાન કર્યાનો આક્ષેપ કરતાં લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.
સારવારમાં રહેલી નયનાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ અશોક નાનજીભાઇ ચાવડા ભરડીયામાં મજૂરી કરે છે. તેણીના માવતર કાલાવડ રણુજાના ધુડશીયા ગામે રહે છે. પિતાનું નામ ભીખુભાઇ માધાભાઇ રાઠોડ અને માતાનું નામ નંદુબેન છે. પિતા હયાત નથી. નયનાબેન પાંચ બહેન અને એક ભાઇમાં પાંચમા નંબરે છે. તેણીના બહેન કંચનબેન વઘોરા અને માતા નંદુબેને આક્ષેપ કર્યો હતો કે રસોઇ સહિતની નાની-નાની વાતે સાસુ લીલાબેન હેરાન કરતાં હોઇ નયનાએ કંટાળીને જાતે જ અગ્નિસ્નાન કર્યુ છે. લોધીકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હાલ તેણી સારવારમાં છે.