સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

મોરબીના લીલાપર ગામે પાડોશમાં રહેતા યુવાનની હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

મુખ્ય આરોપી જનક આહીરને આજીવન કેદની સજા જયારે બે આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનની તેના પાડોશી દ્વારા ચાર વર્ષ પૂર્વે હત્યા કરવામાં આવી હોય જે અંગેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આજે મોરબી ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે હત્યાના મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જયારે બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે

   બનાવની વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા રામજીભાઈ ગીરધરભાઈ વાણંદ નામના યુવાનની તેના જ પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હોય જેમાં ગત તા ૨૪-૧૧-૨૦૧૫ ના રોજ મૃતકની પત્ની કાજલબેન વાણંદ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે વાણંદ દંપતી વચ્ચે ઝઘડો થતો હોય અને બોલાચાલીને પગલે અવાજ પાડોશીને સંભળાતો હોય જેથી તેના પાડોશમાં રહેતા જનક કિશોરભાઈ આહીર નામના શખ્શે અગાઉ પણ ચેતવણી આપી હતી અને બનાવના દિવસે દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થતા ફરિયાદીના પતિ રામજીભાઈને પાડોશમાં રહેતા જનક આહીર તેમજ અન્ય શખ્શો આવી યુવાનને માર માર્યો હતો અને રીક્ષામાં અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં યુવાનનો મૃતદેહ સિરામિક ઝોન પાસેથી હત્યા કરાયેલ હાલતમાં મળી આવ્યો હતો

જે ફરિયાદને પગલે પોલીસે હત્યાના મુખ્ય આરોપી જનક કિશોર આહીર તેમજ અન્ય બેની અટકાયત કરી હતી અને હત્યાના ગુન્હા અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે મુખ્ય આરોપી જનક કિશોર આહીરને હત્યાના ગુન્હામાં દોષિત ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જયારે અન્ય બે આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે

(12:15 am IST)