લખતર રાજવી પરિવારની હવેલીમાંથી પ્રાચીન મૂર્તિઓ સહીત ૪૦ લાખની ચોરીમાં શેઠલાનાં શખ્સોની અટકાયત
વઢવાણ, તા.૨૨: લખતરમાં રાજવી પરિવારની હવેલીમાંથી પ્રાચિન મૂર્તિ સહીત ૪૦ લાખનાં કિંમતી મુદામાલની ચોરીનાં બનાવમાં પોલીસે શેઠલા ગામના કેટલાક શકમંદ શખ્સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
લખતર રાજવી પરિવારના રાજમહેલ નજીક રણછોડરાયજીની ૪૦૦ વર્ષપ્રાચીન રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની સાથે રદ્યુનાથજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ, સોના ચાંદીના વાસણો મળી કુલ ૩૧ વસ્તુકિંમત રૂપિયા ૪૦ લાખના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો. આ ઘટનાની રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હવેલીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પેટીમાંથી ચાવી લઇને બાકીના દરવાજા ખોલીને કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાના અનુમાન સાથે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવની ૧૧ દિવસ સુધી સતત અલગ અલગ દિશાઓમાં ચોરીના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરિણામે તા. ૨૧ ઓકટોબરની મોડી સાંજે આ ચોરીમાં કેટલાક શેડલાના શખ્સો પકડાયા હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી હતી. આ અંગે ડીવાયએસપી એ.બી.વાળંદે જણાવ્યુ કે, હાલ શકના આધારે અમુક શખ્સોની અટકાયત કરાઇ છે.(૨૨.૮)