પોરબંદરમાં લુખ્ખાઓનો વધતો ત્રાસ : વધુ એક સ્કુટર સળગાવ્યું
ચોપાટી તથા સત્યનારાયણ મંદિર વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતા લુખ્ખાઓ : જાહેરમાં વારંવાર હંગામાથી પરિવારજનો સાથે ફરવા નીકળતા લોકો હેરાન
પોરબંદર, તા. રર : બે દિવસ પહેલા રાત્રે ચોપાટી ઉપર લુખ્ખાઓ વચ્ચે બઘટાડીમાં એક બાઇક સળગાવી નાખ્યાના બનાવ બાદ સત્યનારાયણ મંદિર સામે પડયા રહેતા લુખ્ખા તત્વોએ એક એકટીવા સળગાવી નાખતા નજીકમાં રહેતા લોકોએ પાણી છાંટીને આગ બુઝાવી હતી.
બે દિવસ પહેલા ચોપાટીમાં હોટલ પાસે એકઠા થતા લુખ્ખા તત્વોએ બાઇક સળગાવી દીધાની ઘટનામાં પંચહાટડીમાં રહેતા હિમાલય નીલેશભાઇ તોરણિયાએ પોલીસ ફરીયાદ નોંધાવેલ. પોલીસ ફરીયાદમાં પોતાનું જીને રપ એન-૯ર૧૬ નંબરનું બાઇક કિ. ૩૦ હજારનું જય યજ્ઞેશભાઇએ સળગાવી નાખી નુકશાન કર્યાનું જણાવેલ છે.
શહેરમાં લુખ્ખાઓના વધતા ત્રાસ અને જાહેરમાં આવા તત્વો દ્વારા વારંવાર હંગામાને કારણે ચોપાટી સહિત વિસ્તારોમાં રાત્રે પરિવારજનો સાથે ફરવા નીકળતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
કાયદો વ્યવસ્થા નામે રેંકડીધારકો ઉપર વારંવાર લાકડી ઉગામનારાઓ લુખ્ખા તત્વો સામે કેમ પગલા ભરતા નથી... ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાય રહ્યો છે. (૯.૩)