પ્યાસીઓના જીવ બળે તેવા સમાચાર
કેશોદમાં ૬૯ લાખથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશઃબુલડોઝર ફરી વળ્યું
કેશોદના ડીવાયએસપી જે. બી. ગઢવીની રાહબરી હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીઃ માંગરોળમાં પણ લાખોની કિંમતના દારૂના જથ્થાનો નાશ
રાજકોટ તા. રરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટાપાયે થતી દારૂની ડિલીવરી અને આવા ગેરકાયદેસર પ્રવેશતા દારૂની રોકવા માટે રાજયના પોલીસ વડા શ્રી આશીષ ભાટીયા દ્વારા અપાયેલા આદેશો અનુસાર ઠેર-ઠેર દારૂના દરોડાઓ પાડવા સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જે સંદર્ભે આવા મુદ્દામાલનો નાશ કરવાની કવાયત ચાલી રહી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે અંદાજે રપ થી વધુ ગુનાનો ૬૯ લાખ ૬૪ હજાર ૪૦૦થી વધુ કિંમતના દારૂના મુદામાલનો નાશ તમામ નિયમોના ચુસ્ત પાલન સાથે કેશોદના ડીવાયએસપી જે. વી. ગઢવીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો.
લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફરતું જોઇ પ્યાસીઓના જીવ બળી ગયા હતા. આમ, મસમોટા દારૂના જથ્થાનો નાશ પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલ.
બિનસતાવાર મળતી વિગતો મુજબ માંગરોળના સીલ પોલીસ મથકની હદમાંથી પકડાયેલા લાખોના દારૂના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો છે.