જૂનાગઢના ભીયાળના યુવાનના ૭૭ લાખ ચાંઉ કરનાર ટોળકીના ૧૪ દિ' રીમાન્ડની તજવીજ
જુનાગઢ તા.રર : જુનાગઢના ભીયાળ ગામના પટેલ નયન પ્રવિણભાઇ સોજીત્રા પાસેથી રૂ. ૭૭ લાખ પડાવી લેનાર પાંચ શખ્સોની ટોળકીના તાલુકા પોલીસે ૧૪ દિવસના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકા પોલીસ મથકના રૂ. ૭૭.૭૦ લાખના વિશ્વાસઘાત-છેતરપીંડીના ગુનામાં ગઇકાલે બગસરા સબ જેલમાંથી રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ, જાતનાથ સુરમનાથ પઢીયાર, કવરનાથ રૂપાલનાથ તેમજ નરેશનાથ રૂખડનાથ સહિત પાંચ શખ્સોનો કબ્જો મેળવી તમામને જૂનાગઢ લાવવામાં આવેલ.
તાલુકા પી.એસ.આઇ. એસ.એમ. સગારકાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સાંજે આ ટોળકીને જુનાગઢ લાવ્યા બાદ પૂછપરછ કરતા તમામ શખ્સો રીઢા ગુનેગાર હોય ગોળગોળ જવાબ આપતા હતાં.
વિશેષ તપાસ અને પૂછપરછ માટે ટોળકીને જુનાગઢ કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.