સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

ગોંડલના મગફળી કૌભાંડમાં તપાસનો ધમધમાટઃ મગન ઝાલાવાડીયાની પોલીસ જેલમાં પુછપરછ કરશે

મગન ઝાલાવાડીયાને રૂપીયા ગુજકોટના કયા અધિકારીએ આપ્યા તે અંગે પુછપરછ કરાશેઃ પુરાવા મળી આવ્યે ગુજકોટના અધિકારી અને મગનની વિધિવત ધરપકડ કરાશે

ગોંડલ-રાજકોટ, તા. ,રર :  ગુજરાતમાં ચકચાર બનેલ મગફળીકાંડ અને છેલ્લા કેટલાક સમયથી પોલીસ હવાલે થયેલ મગન ઝાલાવાડીયા સામે ગોંડલ પોલીસ મથકમાં મગફળીની ર૯પપ બોરીની ઉચાપત પ્રકરણમાં પોલીસ દ્વારા મગન ઝાલાવાડીયાની જેલમાં પુછપરછ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મગફળી કાંડ ની શરૂઆત કરીએ તો ગોંડલના ઉમવાળા રોડ ઉપર આવેલ રામરાજય જીનિંગ મિલમાં  ગત જાન્યુઆરી માસમાં આગ લાગવાથી ં આશરે ૨૮ કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. ં ત્યાર બાદ જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેમાં  ગુજરાત વેર હાઉસીંગ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડીયા સહીત ર૪ થી વધુ આરોપીઓની સંડોવણી ખુલતા તમામની ધરપકડ કરાઇ હતી.

ત્યાર બાદ રાજકોટના માર્કેટ યાર્ડમાં બારદાનનો જથ્થો સળગાવી દેવાના બનાવમાં મગન ઝાલાવડીયાની સંડોવણી ખુલતા તેની સામે ગુન્હો દાખલ કરી રાજકોટ બી ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરી રીમાન્ડ પર લેવાયો હતો. રીમાન્ડ દરમિયાન  રાજકોટ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર આર એસ ઠાકરની પૂછપરછમાં મગન ઝાલાવાડિયાએ એવી કબુલાત આપી હતી કે  ગોંડલ રામરાજય જીનિંગ મિલમાં આગ લાગેલ ત્યારે બાજુના ગોડાઉનમાં પડેલ  મગફળીના જથ્થાની ગણતરી કરાતા ૨૯૫૫ મગફળીની બોરીની ઘટ આવી હતી. આ અંગે મગન ઝાલાવડીયાએ ગુજકોટના અધિકારીઓને જાણ કરતા ગુજકોટના અધિકારીઓએ તાબડતોબ ૪૦ લાખ મોકલાવી મગફળી ખરીદ કરવાની સુચના આપતા મગન ઝાલાવડીયાએ પોતાની જ તરઘડી સહકારી મંડળીમાંથી ર૯પપ ાગફળીની ગુણીની ખરીદી કરી ગોંડલના ગોડાઉનમાં રાખી દીધી હતી. આ રીતે મગન ઝાલાવડીયા અને ગુજકેોટના અધિકારીઓએ ર્પુર્વયોજીત કાવત્રૂ રચી  ગોંડલ ગોડાઉનમાંથી ર૯પપ ગુણી બારોબાર વેચી નાખી ઉચાપત કરી હતી અને બાદમાં ભાંડો ફુટતા મગફળીનો જથ્થો ખરીદી ગોડાઉનમાં પુનઃ રાખી દીધી હતી.

આ કબુલાતના આધારે રાજકોટ બી ડીવીઝનના પીઆઇ આર એસ ઠાકર દ્વારા ગોંડલ પોલીસ મથકમાં મગન ઝાલાવાડિયા  તથા તપાસમાં ખુલે તે ગુજકોટના અધિકારીઓ વિરુદ્ઘ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પી.આઈ રામાનુજ દ્વારા ipc કલમ ૪૦૯, ૧૨૦ બી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

 મગન ઝાલાવાડિયા દ્વારા મગફળીની બોરીની ઉચાપતમાં કેટલાક ગુજકોટ ના અધિકારીઓની પણ સંડોવણી હોય તપાસમાં નામ ખુલ્યે તેઓની ધરપકડ કરાશે. હાલ  મગફળી કાંડનો માસ્ટર માઇન્ડ મગન ઝાલાવડીયા જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લઇ ધરપકડ કરાશે.

આ પ્રકરણમાં ગોંડલ સીટી પી.આઇ. રામાનુજના જણાવ્યા મુજબ મગફળી કૌભાંડમાં પુરાવા એકત્ર કરવા જેલમાં રહેલ મગન ઝાલાવાડીયાની જેલમાં જ પુછપરછ કરાશે તેમજ મગફળી ખરીદી માટે મગન ઝાલાવાડીયાને ૪૦ લાખ રૂપીયાનું પેમેન્ટ ગુજકોટના કયા અધિકારીએ મોકલાવ્યું હતું? તે અંગે મગન ઝાલાવાડીયાની પુછપરછ કરાશે.

ત્યાર બાદ પુરાવા મળ્યે મગન ઝાલાવાડીયાની જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લઇ વિધિવત ધરપકડ કરાશે. આ કૌભાંડમાં ગુજકોટના જે -જે અધિકારીઓના નામ ખુલશે તેની ધરપકડ કરાશે.(૪.૫)

(4:00 pm IST)