ખંભાલીડા બૌધ્ધ ગુફામાં ૪પ માસથી કામ બંધ પ્રવાસન વિભાગે કલેકટર તંત્ર પાસે વિગતો માગી
જયાબેન ફાઉન્ડેશન દ્વારા પ્રવાસન સચિવને પત્ર પાઠવી જાણ કર્યા બાદ કાર્યવાહી
રાજકોટ તા. રર :.. અતિ ઐતિહાસિક અને પ્રાચીન ખંભાલીડા બૌધ્ધ ગુફાના જીર્ણોધ્ધાર માટે સરકારે ૧૦ થી ૧ર કરોડ ફાળવ્યા છે, વર્ષોથી કામ ચાલતું હતું તે ૯૦ ટકા પુર્ણ થઇ ગયું છે, હવે ગુફા ઉપર રાજસ્થાની પથ્થર અને કલાત્મક બારી - બારણા વિગેરે ૧૦ ટકા કામ બાકી છે.પરંતુ આ ૧૦ ટકા કામ પણ છેલ્લા ૪પ માસથી બંધ હોય, જયાબેન ફાઉન્ડેશન મેનેજીંગ ટ્રસ્ટીએ પ્રવાસન સચિવ તથા રાજય સરકારને આ બાબતે જાણ કરતા હવે કાર્યવાહી શરૂ થઇ છે.
પ્રવાસન વિભાગના ઝોનલ એન્જીનીયરે રાજકોટ કલેકટરને પત્ર પાઠવી ખંભાલીડા બૌધ્ધ ગુફાની કામગીરી આપના હસ્તકના વિભાગ દ્વારા કરેલ હોય, આ કામગીરી કયાં કારણોસર બંધ છે, અને કામગીરી કયાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેની માહિતી ટ્રસ્ટ - નિગમને તાકીદે મોકલી આપવા ઉમેર્યું છે.
અત્રે એ નોંધનીય છે કે ખંભાલીડા બૌધ્ધ ગુફા સ્થળ ખાતે ૧ર રૂમ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી, ભોજન સ્થળ સહિત કુલ જુદા જુદા પાંચ બીલ્ડીંગ બની ગયા છે, ૮પ થી ૯૦ ટકા કામ થયેલ છે.