ઉનામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો : સનખડાની નદી ઉપર બ્રિજ નહિ બનતા 300 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
વર્ષોથી ગ્રામજનોની બ્રિજ બનાવવા માંગણી છતાં સત્તાધીશો જાગતા નથી
ઉનામાં અનરાધાર વરસાદે કહેર મચાવ્યો હતો ત્યારે ભારે વરસાદથી સનખડામાં આવેલી નદી પર બ્રિજ ન બનતા 300 વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું છે
નદી પર સરકાર બ્રિજ ન બનાવતા બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી. બાળકો સાથે શિક્ષકો પણ સ્કૂલમાં જઈ શકતા નથી. વર્ષોથી ગ્રામજનોએ બ્રિજ બનાવવાની માગણી કરી છે, છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓ જાગતા નથી.
મંત્રીથી લઈ મોટા નેતાઓ સુધી અનેકવાર રજૂઆત કરાઈ તો પણ હજુ બ્રિજ બન્યો નથી. સરકારે બ્રિજ ન બનાવતા ગામના લોકોએ લોકફાળો કરી પિલર બાંધ્યા હતા.
બ્રિજની છત બનાવવા સરકાર ગ્રાન્ટ પણ ફાળવતી નથી. સ્કૂલોમાં શિક્ષણકાર્ય ચાલુ હોવા છતાં વિધાર્થીઓ સરકારની બેદરકારીથી હાલ શાળામાં જઈ શકતા નથી.
ચોમાસામાં ભારે વરસાદના પગલે સનખડાની સીમમાં શાળા બંધ રાખવામાં આવે છે. ગ્રામલોકોએ કહ્યું કે, નદી પરનો બ્રિજ બને તો બાળકો સ્કૂલમાં જઈ શકે તેમ છે.