સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd June 2019

કચ્છમાં મગફળીનાં જથ્થા આગનો બનાવ પણ વિવાદિત રહ્યો'તોઃ ધુળ-ઢેફા પ્રકરણમાં તપાસનો ધમધમાટ

ભુજ, તા.૨૨: રાજય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરાયેલ વિવિધ ખેતપેદાશોની ખરીદી દરમ્યાન થયેલા કૌભાંડોએ ગુજરાત ભાજપની પ્રતિષ્ઠા સામે સવાલો ખડા કર્યા છે. કચ્છમાં ગાંધીધામ મધ્યે સરકારી ગોડાઉન ઉપર પડેલ જનતા રેડે ફરી એકવાર મગફળી કૌભાંડને ગાજતું કર્યું છે.

ગુજરાત પ્રદેશના કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા અને કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજય સરકાર દ્વારા રખાયેલા વેરહાઉસમાં મગફળીના જથ્થા ઉપર રેડ પાડીને મગફળીની ગુણીઓ ખોલીને તપાસી ત્યારે તેમાં ધૂળ અને ઢેફા નીકળ્યા હતા. કચ્છ કોંગ્રેસના પ્રવકતા ચેતન જોશીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે જનતા રેડ પાડી ત્યારે મગફળી કૌભાંડ આચરાયું હોવાના ગુજરાત કોંગ્રેસના આક્ષેપો સાચા પુરવાર થયા છે. ગાંધીધામના આ જ ગોડાઉન ઉપર ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ધરણા કરીને મગફળી કૌભાંડ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કોંગ્રેસના કિસાન આગેવાન પાલભાઈ આંબલિયા અને યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે સરકાર હવે કૌભાંડને છુપાવવા માટે મગફળીનો જથ્થો બજારમાં ઠાલવી રહી છે. ખરેખર સરકાર મગફળી કૌભાંડની તપાસ કરીને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ઘ કડક પગલાં ભરવાને બદલે હવે એકાએક ધૂળ અને ઢેફા વાળા જથ્થાને વેંચીને સમગ્ર મગફળી કૌભાંડ ઉપર લીપાપોતી કરી રહી છે. ગાંધીધામમાં ૩૬ જેટલા ગોડાઉનોમાં લાખો ટન મગફળીનો જથ્થો છે. આથી અગાઉ અહીં મગફળીના જથ્થામાં બનેલો આગ નો બનાવ પણ વિવાદિત રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી કોંગ્રેસ દ્વારા ગોદામ ની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ભીનું સંકેલવા અને આખા કૌભાંડ પર પળદો પાડી દેવા મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિ ની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો હતો.

ત્યારે પણ કોંગ્રેસ માંગ કરી રહી હતી કે જેટલા ગોડાઉન મગફળીના ભરેલા છે તેની તમામની તપાસ થવી જોઈએ પરંતુ રાજય સરકારે તપાસ કરશું કહીને બધા જ ગોડાઉન ને તાળા મારી દીધા હતા પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

વધુમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉન ને તાળા મારી તપાસનુ નાટક કરવામાં આવ્યુ હતું તે આના પરથી સાબિત થાય છે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ એટલે જ સરકાર દ્વારા ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યા, કોઈ તપાસ કરવામાં ન આવી જેના કારણે આખુંય કૌભાંડ દબાવી ગયુ હતુ. અત્યારે રાજય સરકાર દ્વારા એ મગફળીની હરરાજી કરી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે એ ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી એ ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટયો છે.

(11:21 am IST)