સગીર બાળકના કબજા અંગેની અરજી રદ કરતી ધોરાજી કોર્ટ
જુનાગઢ, તા. રર : અમદાવાદ રહેતા વઘાસીયા દિવ્યેશભાઇ ધીરૂભાઇએ તેમના પત્ની પટેલ ચંદ્રાવતીબેન વા/ઓ-દિવ્યેશભાઇને ત્રણ કપડાભેર તેમને ત્યાંથી કાઢી મૂકયા પછી ઉપલેટા મુકામે તેમના પુત્ર સાથે તેમના પત્ની માવતરે રહેતા હોય તે પુત્ર 'માનવ'નો કબજો મેળવવા માટે પ્રથમ ઘરેલુ હિંસામાં કાયદા વિરૂદ્ધની અરજી કર્યા પછી તે હકીકત પણ છુપાવીને એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ ધોરાજી સમક્ષ સગીરનો કબજો મેળવવા દાખલ કરેલી અરજી ડીસ્ટ્રીકટ કોર્ટે રદ કરી હતી.
સદરહુ અરજી સામે સામાવાળા તરફે તેવો વાંધો લેવામાં આવેલ કે, અમદાવાદ રહેતા વઘાસીયા દિવ્યેશભાઇના માતુશ્રી બીમાર રહે છે અને આ સગીર પુત્રને શાળાએ જવા માટે દરરોજ સમયસર ઉઠાડવો તેને તૈયાર કરવો તેના માટે નાસ્તો તૈયાર કરવો તેવી કોઇ અન્ય કોઇ બહેન તેમને ત્યાં નથી અને સગીરને ઉપલેટા રહેતા તેમના માતુશ્રી ચંદ્રાવતીબેન છેલ્લા ઘણા સમયથી સારામાં સારી શાળામાં અભ્યાસ કરાવે છે. ઘરે લેશન કરાવે છે અને બાળકને અભ્યાસ સહિત તેમના સુસંસ્કારનું પણ નીરૂપણ થાય તે રીતે સચવાય છે જેથી અરજદારની અરજી સદંતર સગીરાના હિત વિરૂદ્ધની છે. તેવા વાંધા અને દલીલના આધારે અરજદારની અરજી એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી દવેએ નામંજૂર કરેલ છે. સામાવાળા તરફે એડવોકેટશ્રી વાલભાઇ બોરીચા રોકાયેલા છે.