ભાવનગર-ધ્રાંગધ્રા ટ્રેન ૨૦મી જૂન સુધી બોટાદ સુધી જ દોડશે...
વઢવાણ, તા.૨૨: ઝાલાવાડના લોકોને ગોહિલવાડ જવા માટે વહેલી સવારે મળતી ટ્રેન રેલવે દ્વારા તા. ૨૦ જૂન સુધી આંશીક રૂપે રદ્દ કરવામાં આવી છે. ધ્રાંગધ્રાથી સવારે ૪ કલાકે ઉપડી સુરેન્દ્રનગર ૪.૪૫ કલાકે આવતી અને રાત્રે ૧૦.૩૦ કલાકે સુરેન્દ્રનગર આવતી અને ધ્રાંગધ્રા તરફ જતી ટ્રેન ઉનાળાના સમયમાં વહેલી સવારે લોકોને મુસાફરી માટે સરળ રહેતી હતી. ત્યારે રેલવેના ભાવનગર ડીવીઝન દ્વારા બોટાદ અને સુરેન્દ્રનગર વચ્ચે રેલવે ટ્રેકના સમારકામને ધ્યાને લઇ ભાવનગર ધ્રાંગધ્રા ટ્રેન ૨૧ મેથી ૨૦ જૂન સુધી આંશીક રૂપે રદ્દ કરાયાનું જણાવાયુ છે. આ ટ્રેન સાંજે તેના નિયત સમયે ૬-૪૦ કલાકે ભાવનગરથી ઉપડી બોટાદ સુધી જ જશે. અને સવારે બોટાદથી ભાવનગર જશે. આંશીક રૂપે રદ્દ કરાયેલ ભાવનગર ધ્રાંગધ્રા ટ્રેનને ધ્યાને લઇ પોતાની યાત્રાનું આયોજન કરવા રેલવે વિભાગ દ્વારા જણાવાયુ છે.