સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

રાજીવ સાતવ-અમિત ચાવડાએ પરવાળા ગામે શાપરની ઘટનાના મૃતકના સ્વજનોને મળ્યા

રાજકોટનો કાર્યક્રમ રદ કરી માણાવદર પહોંચ્યાઃ મોડી સાંજે રાજકોટમાં

રાજકોટ, તા., રરઃ ગત રવિવારે શાપર-વેરાવળની રાદડીયા ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ વાણીયા નામના દલીત યુવકની ચોરીની શંકાએ અતીક્રુરતા પુર્વક હત્યા થતા મૃતકના પરીવારજનોને રૂબરૂ મળી દિલસોજી પાઠવવા રાજયના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતા લીંબડી નજીકના પરવાળા ગામે ગયા હતા અને મૃતકના પરીવારને મળી હકીકતો જાણી સાંત્વના પાઠવી હતી. આ સમયે આયોગના શ્રી રાજુભાઇ પરમાર, ધારાસભ્ય શૈલેષ પરમાર, લાભાભાઇ ભરવાડ ઉપસ્થિત રહયા હતા.

આજે રાજય પ્રભારી તથા પ્રદેશ નેતાઓ રાજકોટ યાને યોજાયેલ અસંગઠીત કામદાર સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ રાજકોટ-અમદાવાદ હાઇવે પર વચ્ચે લીંબડી નજીકના પરવાળા ગામે દલીત યુવકના પરીવારને રૂબરૂ મળી વિગતો જાણવા તથા શાંત્વના પાઠવવા જતા તેઓ રાજકોટનાં કાર્યક્રમમાં પહોંચી શકયા ન હતા અને રાજકોટનો કાર્યક્રમ રદ કરી સીધા માણાવદરના કાર્યક્રમમાં જવા નીકળી ગયા હતા.

કોંગી સુત્રોના જણાવ્યા મુજબ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સુરેન્દ્રનગરના પરવાળા ગામેથી પરત ગાંધીનગર જવા નિકળી ગયા હતા. જયારે રાજીવ સાતવ તથા અમિત ચાવડા માણાવદર કાર્યક્રમમાં ગયા છે.

માણાવદરથી પરત ફરતી વેળાએ રાજય પ્રભારી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજકોટ આવશે અને શહેરના કોંગી અગ્રણીઓને મળશે.

(4:29 pm IST)