પોરબંદરમાં ગુંગળાઇ જવાથી વૃધ્ધાના મૃત્યુમાં હત્યાની શંકાઃ કડીયાકામ કરતા શકદાર અંગે તપાસ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.રર : ઝુરીબાગ વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા એકલાવયુ જીવન જીવતા વૃધ્ધાના મૃત્યુમાં આ વૃધ્ધાનું ગુંગળાય જવાથી મોત નીપજયાનો પી.એમ.રીપોર્ટ આવેલ ત્યારપછી આ બનાવમાં વૃધ્ધાના કુટુંબીજનો દ્વારા વૃધ્ધાનું શંકાસ્પદ મોત હોવાની રજુઆત કરીને કડીયા કામ કરતા શકદારને દર્શાવેલ છે.
ઝુરીબાગ વિસ્તારમાં ૧૦ દિવસમાં પહેલા હીરીબેન બાબુભાઇ રાણાવાયા (ઉ.વ.૬પ)નું મૃત્યુ થયુ હતુ અને તેમના મૃતદેહને પી.એમ. માટે મોકલાતા વૃધ્ધાનું શ્વાસ ગુંગળાય જવાથી મૃત્યુ નીપજયાનો રીપોર્ટ આવ્યો હતો. ત્યાર પછી મરનાર વૃધ્ધાના કુટુંબીજનોએ કમમલાબાગ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરેલ કે હીરીબેનના મોઢે મુંગોદઇને હત્યા કરી નાખી તેવી શંકા દર્શાવી છે.
મરણ જનાર વૃધ્ધાના કુટુંબીજનોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રજુઆતમાં જણાવેલ કે વૃધ્ધાનું મૃત્યુ થયુ તે પહેલા ૩ વર્ષથી એક કડીયાકામ કરતો શખ્સ વૃધ્ધાના ઘરે આંટા ફેરા કરતો હતો અને વૃધ્ધાની હત્યામાં આ શખ્સને શકદાર તરીકે દર્શાવેલ છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.