વિશ્વાસ એ જીવનનુ મહત્વનું પાસુઃ પૂ.મોરારીબાપુ
પ્રયાગરાજ-કુંભમાં આયોજીત ''માનસ સંગમ''શ્રીરામકથાનો ચોથો દિવસ
રાજકોટ તા.૨૨: ''વિશ્વાસએ જીવનનુ મહત્વનુ પાસુ છે'' તેમ પૂ.મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ-કુંભ મેળામા આયોજીત ''માનસ સંગમ''શ્રીરામકથાના ચોથા દિવસે કહ્યુ હતુ.
પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યુ કે, બુધ્ધપુરૂષમાં પાંચ વાણી હોય છે. (૧)બ્રહ્મવાણી, (૨)ગગનવાણી-આકાશવાણી, (૩)વેદવાણી (૪)લોકવાણી-જેનું કેન્દ્ર નાભી છે (૫)ગુરૂવાણી-પોતપોતાના ગુરૂની વાણી.આ સૌથી શ્રેષ્ઠ વાણી છે.
જીવનમાં કેટલાંક સંગમ જરૂરી છે. સંતાન અને માતાપિતા, રાજા અને પ્રજા, ગુરૂ અને શિષ્યનો સંગમ-મિલન પણ જરૂરી છે. એ જ રીતે ઉપનિષદીય સૂત્ર પ્રમાણે, મારૃં મન વાણીમાં અને વાણી મનમાં સ્થિર થાય. મન અને વાણીનો આ સંગમ છે. સાહિત્ય જગતના સંદર્ભે ગદ્ય અને પદ્યનો મેળ હોવો જોઇએ. ઘણાં મહાપુરૂષો બોલતા હોય તો લાગે જાણે કોઇ પદ્ય વહે છે સાગર અને સરિતાનો સંગમ પણ અદ્ભૂત મિલન છે.સૂર્ય અને ચંદ્રનો સંગમ પણ જરૂરી છે. આ કુંભની કથામાં આ બન્નેનો સંગન છે. ધરતી અને આકાશ સંગમ પણ રમણિય હોય છે. સંસાર અને સંન્યાસનો સંગમ કળિયુગમાં ખૂબ જરૂરી છે. વૈરાગી મહાપુરૂષ જયારે સમાજની સેવામાં પોતાના ભજનને અકબંધ રાખીને બેસે છે ત્યારે વૈરાગ્યનો એક વૈભવ થાય છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, રામચરિત માનસમાં ભરત-રામનું મિલન, હનુમાન-રામનું મિલન, કૈકેયી-રામનું મિલન કે શબરી-રામનું મિલન? બાપુએ કહ્યું કે, ભુશુંડી અને ગરૂડજીનુ આગળ કહું તો વેદવિદિત વટવૃક્ષ નીચે મહાદેવજી પાર્વતીજીને કથાગાન સંભળાવે છે એ કેવું પરમ મિલન છે! એ તો ઠીક, આ જ ભૂમિ ઉપર, તીર્થરાજ પ્રયાગની ભૂમિ પર, ભારદ્વાજ અને યાજ્ઞવલ્કયજીનો સંગમ વિરલ છે અને યાજ્ઞવલ્કયજી ભારદ્વાજ ઋષિને ગંગાજમુનાના પ્રવાહ સમાન રામકથા કહે છે એ વિરલ સંગમ ગણાય છે અને કથાનું સમાપન નથી થયું. મને હજી સુધી કયાંય ઇતિહાસમાં યાજ્ઞવલ્કયજીએ કથાનું સમાપન કર્યુ હોય એવું જાણવા નથી મળ્યું.
જેને ભજન કરવા છે એને કયારેય કોઇ આક્ષેપોથી ડરવુ જોઇએ નહી.(૭.૩૨)