સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક મળીઃ પેન્શન સહિત પ્રશ્નોની ચર્ચા
સુરેન્દ્રનગર, તા. ૨૨ : સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે મળી હતી.
આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી શ્રી ઝાલાએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.