માળીયાહાટીના પાસે વાહન હડફેટે ર યુવકોના મોત
મોટર સાયકલ ઉપર અવાણીયા ગામના યુવકો જમવાનું લેવા જતાં'તા ત્યારે અકસ્માત સર્જાયો
જુનાગઢ તા.રરઃ માળીયા હાટીના પાસે રાત્રે અજાણ્યા વાહનની ઠોકરે એકટીવા સવાર બે યુવાનનાં મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ છે.
અકસ્માત બાદ વાહન ચાલક નાસી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગતો એવી છે કે જુનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાનાં અવાણીયા ગામે રહેતા મૈયા દરબાર રમેશ ભીખુભાઇ બાબરીયા (ઉ.વ.૨૮) અને રમેશ પાલાભાઇ ધાના (ઉ.વ.૨૨) ગત રાત્રે તેમનાં જી.જે. ૦૩ એચ ૯૦૪૪ નંબર એકટીવા ઉપર બેસીને જમવાનું લેવા જતાં હતા. ત્યારે માળિયા હાટીના નજીક જુથલની ધાર સીમમાં નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેતા એક ફોર વ્હીલ વાહને બંને યુવાનોને તેમના એકટીવા સહિત હડફેટે લીધા હતાં.
જેમાં બંને યુવકો ફંગોળાય ગયા હતા. અને ગંભીર ઇજા થવાથી બંને યુવાનોનું મૃત્યુ નિપજયું હતું.
અકસ્માત બાદ વાહન ચાલક તેનાં વાહન સાથે ફરાર થઇ ગયો હતો. આ અકસ્માત અંગે મૃતક રમેશનાં પિતા ભીખુભાઇ બચુભાઇ બાબરીયાની ફરિયાદ લઇ માળિયા હાટીના પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે. મરનાર બંને યુવાનો લાઇટ ડેકોરેશનનું કામ કરતાં હતા. તેમના મોતથી નાના એવા અવાણીયા ગામે ગમગીની પ્રસરી ગઇ છે.(૧.૬)