સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

શ્રી પિયુષકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં

વાંકાનેરમાં હવેલી દ્વારા પાઠ શાળાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન

તા.રરઃ અહિની શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી દ્વારા જુનાગઢ મોટી હવેલીમાં શ્રી પિયુષકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં વાંકાનેર મોરબી હવેલીની પાઠશાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન થયો.

જુનાગઢ મોટી હવેલી  હેઠળની હવેલીઓમાં ઠાકોરજીની અને ગૌ માતાની સેવા-પુજા સાથે વૈષ્ણવ સમાજના બાળકોને નાનપણથી જ વિદ્યા અભ્યાસ સાથે ધર્મજ્ઞાનનું ગમ્મત સાથે શિક્ષણ આપવાનું કાર્ય ગૌસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રીના આશિર્વાદથી અને શ્રી પિયુષકુમારજી મહાદયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર -મોરબી સહિતની જુદી જુદી હવેલીઓમાં સુંદર રીતે ચાલી રહયું છે.

પુષ્ટિ સંસ્કાર પાઠશાળા તથા શ્રી વલ્લભ વિદ્યાપીઠના બાળકોને સ્થાનિ હવેલીમાં મુખ્યાજી પરિવાર ઉપરાંત વૈષ્ણવ સમાજના શિક્ષકો અને ધર્મજ્ઞાન ધરાવતા ભાઇઓ, બહેનો દ્વારા પાઠશાળાના બાળકોને ગમ્મત સાથે ધર્મજ્ઞાન આપી રહયા છે. આ બાળકો આ પાઠશાળા માંથી શું શીખ્યા? કેવું જ્ઞાન અપાય છે? તેની પુષ્ટિ કરવા માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે શ્રી શ્રીનાથજી બાવા તથા શ્રી વલ્લાભાચાર્યજીના ચિત્રજી સમક્ષ ગોસ્વામી શ્રી પિયુષકુમારજી મહાદય તથા તેમના આત્મજ વલ્લભલાલ બાવા ઉપરાંત વાંકાનેર કાર્યક્રમના અતિથિ એવા પુર્વ નગર પ્રમુખ જીતુભાઇ સોમાણી, દિનુભાઇ વ્યાસ, વાંકાનેર હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબાના વરદ્દ હસ્તે દિપ પ્રાગટય કરી સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.

શ્રી પુષ્ટિ સંસ્કાર પાઠશાળા અને વિદ્યાપીઠના વાંકાનેરના બાળકોએ મંગલાચરણથી કાર્યક્રમનો પ્રારંભ કરેલ સાથે શ્રી વલ્લભાચાર્યજીનું જીવન ચરિત્ર, ગૌમાતાનું મહત્વ, કૃષ્ણાશ્રમ, વાર્તા પ્રસંગ, સિદ્ધાંત ઉપરાંત શ્રી ગુસાઇજી વિષે બાળકોએ સુંદર વકતવ્ય રજુ કર્યા હતા આ ઉપરાંત ''કૃષ્ણ ગોવિંદ ગોપાલ'' (ર) ધન્ય શ્રી યમુના અને (૩) મજાપડી ભાઇ મજા પડી રાસ રજુ કર્યા હતા. મોરબી પાઠશાળા તથા વિદ્યાપીઠના બાળકો દ્વારા નાટકો, વાર્તા પ્રસંગો, કથક નૃત્ય વિગેરે રજુ કર્યા હતા.

ગોસ્વામી શ્રી પિયુષકુમારજી મહાદયના વચનામૃતમાં બાળકોની આંતરિક શકિત ખીલવવાની પ્રેરણા મલી અને આજના કાર્યક્રમમાં જે બાળકોએ કૃતિઓ રજુ કરી એ આપણી પુષ્ટિ ભકિતને પ્રભાવીત કરી, નાનપણથી આપણી સંસ્કૃતિનું સિંચન બાળકોમાં થાય એવો વિચાર મને આવ્યો અને શ્રી વલ્લભની કૃપાથી આ કાર્યની શરૂઆત કરી, શ્રી વલ્લભે આ પુષ્ટિ માર્ગના પ્રચાર અને પ્રસાર માટે અથાગ પ્રયત્નો કર્યા છે આ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવા અને પાલન કરવાના અનુરોધ સાથે આશિર્વાદ આપ્યા હતા.

વાંકાનેર પાઠશાળાના શિક્ષકો સંકેતભાઇ, શ્રીમતી ચંદ્રીકાબેન કાગડા, ભાવનાબેન કાગડા, ચંદ્રીકાબેન કંસારા અને શ્રી રાધેકૃષ્ણ ગૃપે આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. હવેલીના પ્રમુખ જી.એમ. સુબા, ટ્રસ્ટીઓ કનુભાઇ પૂજારા, કિશોરભાઇ પૂજારા, મુકેશભાઇ મહેતા, હર્ષદભાઇ કેસરીયા, જીવરાજભાઇ પટેલ, કનાભાઇ કંસારા સહિત બહોળી સંખ્યામાં વૈષ્ણવ સમાજ ઉપસ્થિત રહયા હતા.(૧.૧)

(9:38 am IST)