સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

સાવરકુંડલા આર્ટસ &કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ

૧૯૮૩થી ૮૭ સુધીમાં અભ્યાસ કરી ગયેલા દેશ-વિદેશના વિદ્યાર્થીઓની પ્રેરણારૂપ ઉપસ્થિતિ

અહિની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત ગુરૂવંદના કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો સાથે દેશ-વિદેશથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નજરે પડે છે.(તસ્વીરઃ દિપક પાંધી)

સાવરકુંડલા તા. ૨૨: અહિની વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંધવી કોમર્સ કોલેજમાં સને ૧૯૮૩થી ૧૯૮૭ સુધીનાં વર્ષમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતે ગુરૂવંદનાનો એક ભાવવાહી કાર્યક્રમ યોજાયો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના બહાર ગામથી માદરે વતન ઘણા વર્ષે આવતા હોય કોલેજનાં પ્રફેસરો સાથે સાથે વિદ્યાર્થીઓએ જયાં શાળા પ્રવેશ કરેલો તેવા બાલ મંદિર અને માધ્યમિક શાળાના ગુરૂજનોને પણ કોલેજ ખાતે આમંત્રીત કર્યા હતા.

ગુરૂવંદના કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી મુકુંદકાકા નાગ્રેચા અને જયંતિકાકા વાટલીયા શહેરમાં નિઃશુલ્ક ચાલતા લલ્લુભાઇ આરોગ્ય મંદિરનાં ટ્રસ્ટીશ્રીઓ હરેશભાઇ મહેતા-દિવ્યકાંતભાઇ સુચક પણ શહેરમાં હાજર હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આમંત્રણને માન આપી તેઓએ પણ હાજરી આપતા સોનામાં સુગંધ ભળી હતી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

ગુરૂવંદના કાર્યક્રમની શરૂઆત કરતા પ્રિન્સીપાલ શ્રી શૈલેષભાઇ રવીયા એ ભૂ.પૂ. વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તો હાલનાં વિદ્યાર્થીઓએ વિવિધ ડિઝાઇનની કલરફુર રંગોળીઓ દોરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અદકેરૂ સ્વાગત કર્યું હતું. પ્રિન્સીપાલ રવિયાએ ૧૯૮૭ પછી કોલેજનાં વિકાસની અને હાલમાં કોલેજમાં અ.... શિક્ષણની મેથડ વિષે જાણકારી આપી હતી. વાઇસ પ્રિન્સીપાલ કે.કે.જાનીએ ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો લાગણી ભયો સ્વરે વિદ્યાર્થીઓને પાંત્રીસ વર્ષ બાદ ફરી એકવાર વિદ્યાર્થી તરીકેનાં વિશેષણથી સંબોધીત કરતા ઉપસ્થિત ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ભાવનાત્મક રૂપે પોતાનાં અભ્યાસકાળ દરમ્યાનની લાગણીઓ ફરી પાછી અનુભવી હતી.

ગુરૂવંદના કાર્યક્રમમાં ભૂ.પૂ. પ્રોફેસરો સર્વશ્રી જયંતિભાઇ તેરૈયા, પ્રો.ભંડેરી સાહેબ પ્રો. આચાર્ય સાહેબ સહિત પ્રોફેસરો હાજર  રહયા હતા. જેનું વિદ્યાર્થીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તો વિદ્યાર્થીઓએ સુડતાલીસ વર્ષ પુર્વે  શાળા પ્રવેશ કરેલો ત્યારે ક-કલમનો ક જેેની પાસેથી ઘુટતા શીખ્યા હતા તેવા વિદ્યાર્થીઓમાં કાકીનાં હુલામણા નામથી જાણીતા એવા ગુણવંતીબેન માટલીયાનું અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણનાં સમય દરમિયાન વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શક રહેલા કે.કે. હાઇસ્કૂલનાં શ્રી સતીષકાકા માટલીયાનું પણ સન્માન કરી બાલ મંદિરથી કોલેજ સુધીનાં ગુરૂઓની ગુરૂવંદના કરી હતી.

લાગણીસભર યોજાયેલા આ કાર્યક્રમમાં હાલનાં કે.કે. હાઇસ્કૂલનાં પ્રિન્સીપાલ જાની -ગર્લ્સ હાઇસ્કુલનાં પ્રિ. વર્ષાબેન ખખ્ખર એમ.એલ. શેઠ શાળા સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી વિનુભાઇ રાવલ હાજર રહયા હતા. અત્રે કે.કે. હાઇસ્કૂલનાં હિન્દી શિક્ષક મહેશભાઇ વ્યાસ હાજર રહયા હતા. ગુરૂવંદનામાં સાવરકુંડલાના સ્થાનિક વિદ્યાર્થીઓ ઉપરાંત અમદાવાદ-વડોદરા-મુંબઇ-કલકતા બહારના રાજ્યોનાં કટીહાર સાથે વિદેશમાંથી ઓમાન-દુબઇ-લંડન-ય.કે. થી વિદ્યાર્થીઓ આવ્યા હતા.

મુંબઇ સ્થિત જયેશભાઇ માટલીયાએ આ કાર્યક્રમ માટે બધાના સહકાર સાથે જહેમત ઉઠાવી હતી.(૧.૨)

(9:37 am IST)