સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

૧૧ દિવસ બાદ દિપડો આખરે પાંજરામાં પુરાયો

૧૧ દિવસ પૂર્વે બાળકી પર હુમલો કર્યો હતો : પાંજરે પુરાતાની સાથે દીપડો હેબતાયો હોય તેમ પિંજરામાં શિકાર માટે બકરું મૂક્યું હતું તેને પણ કાંઇ કર્યું ન હતું

ગીર,તા.૨૧ : સુત્રાપાડાના સોળાજ-બરૂલા ગામની સીમમાંથી હિંસક દીપડો પાંજરે પુરાયો છે. ૧૧ દિવસ પૂર્વે આ વિસ્તારમાં ૭ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે બાદ ગામ લોકોમાં ભારે દહેશત વ્યાપી ગઇ હતી. મહા મહેનતે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ ભર્યો છે. પાંજરે પુરાતાની સાથે દીપડો હેબતાયો હોય તેમ પિંજરામાં શિકાર માટે બકરું મૂક્યું હતું તેને પણ કાંઇ કર્યું ન હતું. સુત્રાપાડા વન વિભાગ દ્વારા હિંસક દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. સુત્રાપાડાના સોળાજ ગામમાં ૧૧ દિવસ પહેલા સાંજના સમયે દિનેશભાઇ નામના ખેડૂત પોતાના ઘરમાં જમી રહ્યા હતા. બહાર ફળિયામાં તેમના પરિવારની ૩ બાળકીઓ રમી રહી હતી. એ દરમિયાન એક દીપડો આવી ચઢ્યો હતો. તે ક્રિષ્ના નામની ૭ વર્ષની બાળાને ઉઠાવી ભાગ્યો હતો. પિતાની નજર સામે દીપડો પુત્રીને લઇ જતાં દિનેશભાઇ બૂમો પાડને પાછળ દોડ્યા હતા.

ણ દીપડો ભાગી ગયો હતો. જે બાદ એકાદ કલાકની શોધખોળ બાદ ઘરથી ૭૦ ફૂટ દૂરથી લોકો દીપડાના મુખમાંથી બાળાને છોડાવવામાં સફળતા મેળવી હતી. જે બાદ દીપડો તેને મૂકીને ભાગી ગયો હતો. જે બાદ બાળકીને કોડીનારની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ઇજાગ્રસ્ત બાળકીને ગળાના ભાગે ૨૧ ટાંકા લેવા પડ્યા હતા. બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તાબડતોબ દિપડાને કેદ કરવા ૩ પાંજરા ગોઠવી દીધા હતા. જે બાદ વનવિભાગની ટીમોએ આ જ વિસ્તારમાં ધામા નાખ્યા હતા.

આ ટીમોની મહામહેનત બાદ ૧૧ દિવસે દીપડો પકડાયો છે. મહત્વનું છે કે, છેલ્લા ૨ મહિનામાં સુત્રાપાડામાં ૪ દીપડાએ હુમલા કર્યા છે. જેમાં સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે બે હુમલા, બરૂલા ગામે એક હુમલો જ્યારે સોળાજ ગામે એક હુમલો કર્યો છે. જેનાથી આ પંથકના લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે એક દીપડો પાંજરે પૂરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

(8:28 pm IST)