ખંભાળિયામાં ૪ દિવસમાં ર રઘુવંશી સગાભાઇઓનો કોરોનાએ ભોગ લેતા અરેરાટી
સેવાભાવી યુવાનોના મોતથી લોહાણા સમાજમાં ઘેરો શોક
(કૌશલ સવજીયાણી દ્વારા) ખંભાળિયા તા.ર૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં અનેક વ્યકિતઓનો ભોગ લેવાયો છે. જેમાં ચાર દિવસમાં સાયાણી પરિવારના બે યુવાનો સગાભાઇના મોતથી લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.
ખંભાળિયામાં ચાર રસ્તા પાસે પાન મસાલાનો ધંધો કરતા મનોજભાઇ સાયાણી ઉ.વ.પ૪નું કોરોના બીમારીમાં ગુરૂવારે મૃત્યુ થયુ હતુ. તે પછી રવિવારે તેમના નાનાભાઇ જીજ્ઞેશ સાયાણીના મોતથી સમગ્ર સાયાણી પરિવારને માથે આભ ફાટવા જેવી દુઃખની સ્થિતિ થઇ હતી.
જીજ્ઞેશભાઇ સાયાણી નગરનાકે દુકાન ધરાવતા હતા તથા તેઓ અને તેમના પત્ની મુળ દ્વારકાના કિરણબેન અત્યંત સેવાભાવી અને હસમુખા હતા. ગૌમાતાઓને ઘાસચારો જીતેન્દ્રભાઇ તથા કરસનભાઇ દાવડા રોજ છેક લોકડાઉન થયુ ત્યારથી નાખતા હતા અને ગમે તેને મદદરૂપ થનાર જીતેશભાઇને બે સંતાનો હતા. થોડા સમય પહેલા જ ખંભાળિયા વિસ્તારની એક નિરાધાર દિકરીને પણ આ પરિવારેે મદદ કરી હતી. આ સાયાણી પરિવારના બે ભાઇઓના મોતથી ખંભાળિયા શહેર તથા રઘુવંશી સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.