એક બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ
જુનાગઢના વોર્ડ નં.૩ની પેટા ચુંટણી માટે આવતી કાલે યોજાશે મતદાન
૨૦ બુથ પર ૧૫૫૯૫ મતદારો, ૧૨૫નો સ્ટાફ ફરજમાં
જુનાગઢ તા ૨૧ : જુનાગઢ મનપાની એક બેઠક માટે મંગળવારે ચુંટણી યોજાશે, જેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. આ બેઠકમાં મતદાન માટે તંત્રએ ૨૦ બુથ પર ૧૨૫નો સ્ટાફ ફરજ પર મુકયો છે. મતદાન બાદ તા.૨૪ ને ગુરૂવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
જુનાગઢ મનપાની વોર્ડ નં. ત્રણની એક ખાલી પડેલી બેઠક માટે રાજય ચુંટણી આયોગે ચુંટણી જાહેર કરી હતી. જે એક બેઠક માટે ભાજપમાંથી અસ્લમ ઇબ્રાહીમ કુરેશી અને કોંગ્રેસમાંથી સતીષ વંશએ ફોર્મ ભરીને ચૂંટણીમાં ઉભા રહ્યા છે.
આ બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ચૂંટણી તંત્રએ આ બેઠકની ચૂટણી માટે તા. ૨૨ ને મંગળવારે મતદાન રાખ્યું છે. આ વોર્ડમાં કુલ ૧૫૫૯૫ મતદારો નોંધાયેલા છે. સવારે ૮ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી ૨૦ મતદાન બુથો પર મતદાન થશે. જેના માટે ૨૦ ઇવીએમ અને ૫ ઇવીએમ રીઝર્વ રાખ્યા છે. ચુંટણી માટે પોલીસ બંદોબસ્ત અને મતદાન માટે ૧૨૫ નો સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
મતદાન પુરૂ થયા બાદ તમામ ઇવીએમ જુનાગઢ પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવશે. જેની મત ગણતરી તા. ૨૪ ને ગુરૂવારે કરીને પરિણામ જાહેર કરવામાં આવશે.