સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

નગરપાલિકાઓ તેમને ફાળવાયેલ વણવપરાયેલ ગ્રાન્ટનો વિકાસકામોમાં સમયસર ઉપયોગ કરે : ધનસુખ ભંડેરી

નગરપાલિકાના વિકાસકામોની સમીક્ષા અર્થે ગોંડલમાં મળી ગયેલ બેઠક

રાજકોટ, તા.ર૧: ગોંડલ નગરપાલિકા હસ્તકના નવીન મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ મધ્યે રાજય સરકારશ્રીના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને તથા બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીશ્રી બી.સી. પટણી અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશ્નર સુશ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં રાજકોટ ઝોન અંતર્ગત આવતા છ જિલ્લાઓ કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની ર૯ નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફીસરો સાથે બોર્ડ હસ્તકની નગરપાલિકાઓમાં અમલી વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠક સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે મળી હતી.

પ્રારંભમાં બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને મંચસ્થ મહાનુભાવો સર્વશ્રી ભુપતભાઇ ડાભી (માન. ચેરમેન ઠાકોર અને કોળી વિકાસ નિગમ), ગોપાલભાઇ શીંગાળા (ચેરમેન, એ.પી.એમ.સી. ગોંડલ), બી.સી. પટણી (મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ), પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોન સુશ્રી સ્તુતિ ચારણ અને અશોકભાઇ પીપળીયા (પ્રમુખ-ગોંડલ નગરપાલિકા) , અધિક કલેકટર એન.એફ. ચૌધીર દ્વારા દિપ પ્રાગટય કરીને ઝોનલ સમીક્ષા બેઠકનું ઉદ્ઙ્ખાટન કરવામાં આવ્યું હતું.

મંચસ્થ મહાનુભાવોનું ગોંડલ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ દ્વારા પુષ્પગુચ્છ અને ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના સદ્ગુણી કાર્યોનું આલેખન કરતા ભગવતગુણભંડાર નામના પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરના સચિવશ્રી નટુભાઇ દરજીએ ઉપસ્થિતોને પ્રસ્તુત સમીક્ષા બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

આ તબ્બકે પ્રાદેશિક કમિશ્નર સુશ્રી સ્તુતિ ચારણ તરફથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને ઝોનની નગરપાલિકાઓમાં અમલી વિવિધ વિકાસ યોજનાઓના ઝડપી અને ગુણવત્તા પૂર્ણ અમલીકરણ માટે પ્રાદેશિક કમિશ્નર કક્ષાએથી હાથ ધરાયેલા પ્રયાસોની વિગતો રજૂ કરી હતી.

ત્યારબાદ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીશ્રી બી.સી. પટણીએ તમામ નગરપાલિકાઓના ચીફ ઓફીસરશ્રીઓ અને પ્રમુખશ્રીઓ સાથે યોજનાવાર વિકાસ કામોની વિગતે સમીક્ષા હાથ ધરી હતી અને નગરપાલિકાઓમાં યોજનાવાર વણવપરાયેલ ગ્રાંટનો ઝડપથી વપરાશ થાય તે માટે તાકીદે પરિણામલક્ષી કાર્યવાહી કરવા નગરપાલિકાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તબ્બકે નગરપાલિકાઓની પીવાના પાણીની યોજનાઓ, ભૂગર્ભ ગટર યોજનાઓ, સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ,  ટ્રીટેડ વેસ્ટ વોટરનો રીસાયકલીંગ દ્વારા રીયુઝને લગતી રાજય સરકારશ્રીની પોલીસી વગેરેને લગતા સ્વર્ણિમ જયંતિ યોજના અને કેન્દ્ર સરકારશ્રીના અમૃત મિશન હેઠળ નગરપાલિકાઓમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે અમલી કામોની સમીક્ષા માટે રાજકોટ ઝોન અંતર્ગત આવતા તમામ ૬ જિલ્લાઓના પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રીઓ હાજર રહ્યા હતાં અને તેઓની જિલ્લાની નગરપાલિકાઓના પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર નેટવર્ક તથા એસટીપીને લગતા કામોનું ચેરમેનશ્રીને રીપોટીંગ કર્યું હતું તથા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોનના ચીફ  ઓફીસર વર્ગ-૧ શ્રી તીલક શાસ્ત્રી તરફથી આ બાબતે પ્રાદેશિક કમિશ્નર કક્ષાએ હાથ ધરાયેલા પ્રયાસોનું પ્રેઝનટેશન રજુ કર્યું હતું.

વિકાસ યોજનાઓની સમીક્ષાના અંતે અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ર૦૦૯-૧૦માં ગુજરાત રાજયના તત્કાલિન યશસ્વી મુખ્યમંત્રી અને  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજયની સુવર્ણ જયંતિ અવસરે રાજયની નગરપાલિકાઓની આંતરમાળાકીય સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, ગંદાપાણીનો નિકાલ, આંતરીક રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીનો નિકાલ અને શહેરની આગવી ઓળખ સ્થાપિત કરતા મોટા બજેટના વિકાસ કાર્યો હાથ ધરવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજયની તમામ નગરપાલિકાઓમાં અમલી બનાવીને તેનું સમગ્ર ફંડ સરકારશ્રી તરફથી પ્રતિ વર્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના હવાલે મૂકવામાં આવે છે તે ઉપરાંત કેન્દ્ર સરકારના નાણાપંચની યોજના (હાલે ૧૪મું અને ૧પમું નાણાંચ) હેઠળ નગરપાલિકાઓના વિકાસ કામો માટે મોટું ફંડ બોર્ડના હવાલે મૂકવામાં આવે છે જે પ્રતિવર્ષ બોર્ડના દફતરી હુકમો દ્વારા પ્રાદેશિક કમિશ્નરો નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે આ તમામ વિકાસ યોજનાઓ હેઠળ ઝડપથી વિકાસ કામોનું આયોજન અને અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સતત પ્રયાસરત છે. આ હેતુસર રાજયના તમામ ૬ પ્રાદેશિક કમિશ્નર ઝોનના ચીફ ઓફીસર વર્ગ-૧ અને માસિક સમીક્ષા બેઠક યોજીને તમામ યોજનાઓનો ઉંડાણપૂર્વક રીવ્યુ કરવામાં આવે છે.

તેઓએ નગરપાલિકાના ઉપસ્થિત પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીઓને અને ખાસ કરીને જે નગરપાલિકાઓની ચૂંટણીઓ નવેમ્બર-ર૦ર૦ અને ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન યોજાવાની છે તેઓને ઝડપથી વણ વપરાયેલ ગ્રાંટ રકમોનું શહેરના વિકાસ કામો માટે આયોજન કરીને ઝડપથી પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી સામાન્ય ચૂંટણીઓની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે શકેરના આવા મહત્વના વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીઓ નક્કી કરીને ફાળવાયેલ ગ્રાંટ યોજનાના તમામ વિકાસ કામો શરૂ થઇ જાય તેની ખાસ કાળજી લેવા અપીલ કરી હતી.

તેઓએ તમામ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનો લાભ લેવા વિનંતી કરી હતી અને વિકાસ કામોમાં કોઇ મુશ્કેલી હોઇ તો તેઓનો બવોર્ડ ખાતે સોમવારે કે મંગળવારે સંપર્ક પણ કરી શકાશે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું.

ઝોનલ સમીક્ષા બેઠકના સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોનના ચીફ ઓફીસર વર્ગ-૧ તીલક શાસ્ત્રીએ સંભાળ્યું હતું. જયારે આભારવિધી ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયાએ કરી હતી.

(11:48 am IST)