સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

કચ્છમાં ઘોરાડ પંખીઓનું અસ્તિત્વ જોખમમાં: એકમાત્ર નર પંખી પાકિસ્તાન પહોંચી ગયું હોવાની સંભાવના

મુંબઇ તા. ર૧: ગુજરાતમાં જોવા મળતા ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે જાણીતાં ઘોરાડ પંખીઓનું અસ્તિત્વ અત્યારે જોખમમાં છે, કેમ કે મેટિંગની સીઝન પૂરી થવામાં છે અને અહીંનું એકમાત્ર નર ઘોરાડ પંખી ગાયબ છે. જુલાઇ મહિનો નજીક છે અને વિશાળકાય પંખી ઘોરાડની મિલનની મોસમ પણ ખતમ થવામાં છે ત્યારે પંખીવિશેષજ્ઞો ચિંતામાં છે. ગુજરાતમાં માત્ર સાત જ ઘોરાડ પંખી બચ્યાં હતાં.એમાંથી ૬ માદા હતી અને એક નર. જે હજી પૂરી પુખ્તાવસ્થાએ પણ પહોંચ્યું નહોતું. જોકે કચ્છના ડેપ્યુટી વનસંરક્ષક બી. જે. અંસારીનું કહેવું છે કે 'એકમાત્ર નર પંખી ગાયબ થયું એ પહેલાં જ તે પુખ્ત થયું હોવાનાં લક્ષણો જણાતાં હતાં. જોકે એ પછી ડિસેમ્બર મહિનાથોી એ ગાયબ છે.'આ પંખીની શોધમાં લાગેલી ટીમના કહેવા મુજબ છેલ્લે નર ઘોરાડ નખત્રાણા પાસે જોવા મળ્યું હતું. ત્યાંથી એ કદાચ કચ્છના માર્ગે ભારતની સીમા પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયું હોય અથવા તો રાજસ્થાન પહોંચી ગયું હોય એવી સંભાવના છે.ે આ પહેલાંના ટ્રેન્ડ મુજબ ઘોરાડ પંખીઓ કચ્છથી પાકિસ્તાન જતાં રહ્યાં હતાં. મિલનની આ મોસમ વેડફાય નહીં એ માટે ગુજરાતના વન્ય વિશેક્ષણો રાજસ્થાનને વિનંતી કરવાનું વિચારી રહ્યા છે કે ત્યાંના કોઇ એકાદ નર પંખીને ગુજરાત મોકલવામાં આવે.

(11:43 am IST)