ગીર સોમનાથ જિલ્લામા પ્રિમોન્સુન તૈયારી સંદર્ભે સબંધિત અધિકારીઓ સાથે નિવાસી અધિક કલેકટરશ્રીની બેઠક યોજાઇ
પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લામા પ્રિમોન્સુન તૈયારી સંદર્ભે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર બી.વી. લિંબાસીયા દ્વારા સંબધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રિમોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા જી.ઇ.બી. પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા જણાવ્યું હતું. તેમજ આરોગ્ય અધિકારીશ્રીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું.
ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસરોને જેસીબી મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવા, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવા જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ જણાવ્યું હતું
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર, વેરાવળ પ્રાંત અધિકારી શર્યુબા જસરોટીયા, ઉનાના પ્રાંત અધિકારી રાવલ સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા