રાજુલા ચાંચ બંદરના વિજય મહાલને ઐતિહાસિક ધરોહર જાહેર કરવા રજૂઆત
રાજુલા, તા.૧૩: તાલુકાના ચાંચ બંદર ગામે વિજય મહાલની ઐતિહાસિક ધરોહર તરીકે જાહેર કરવા તથા વિકટર બંદર અને ચાંચ બંદર વચ્ચે ખાડીમાં પુલ બનાવવા ગુજરાત જન ચેતના પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ ભાણાભાઈ ગુજરીયાઙ્ગ દ્વારા જીલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરી.
ગુજરાત જન ચેતના પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ ભાણાભાઈ ગુજરીયા દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજુલા તાલુકાના દરિયાકાંઠે ચાંચ બંદર ખાતે સવંત ૨૦૦૧ અને ૧૪ મે ૧૯૪૫ માં ભાવનગર સ્ટેટના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીનાં હસ્તે ખાતમુહૂર્ત થયેલ અને સમુદ્ર તટ પર જનતા માટે સહેલગાહ સાથે રાજવી વિરાસતનો અનુભવ કરાવતો વિજય મહાલ નામનો મહેલ આવેલો છે વિજય મહાલ હાલ જર્જરિત અવસ્થામાં છે તેને સમારકામ કરાવવા મહેલને ઐતિહાસિક ધરોહર જાહેર કરાવી તેની જાળવણી કરાવવા અને આ સ્થળને પર્યટન સ્થળ તરીકેનો વિકાસ કરાવવા તેમજઙ્ગ આ પર્યટન સ્થળ પર સરળતાથી આવન જાવન માટે અને ચાંચ બંદર ના ગ્રામજનો ને હોડી મારફતે વિકટર થી આવવા જવાની સમસ્યા નિવારવા માટે ચાંચ બંદર વિકટર બંદર વચ્ચે ૫૦૦ થી ૬૦૦ મીટરના સમુદ્રી ખાડી પર પુલ નિર્માણ કરવામાં આવે એવી માંગણી સાથે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા લખી જણાવ્યું હતું.