સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ખંભાળીયા પાસે જૂંગીવારા વાછરાભા મંદિરનો તૃતિય પાટોત્સવઃ શાંતિયજ્ઞ સંતવાણી સહિત કાર્યક્રમો

ખંભાળિયા તા.૨૧: ગવતરીઓના રખોપાના કાજે દેવલબાઇના એકજ પડકારે લગ્ન મંડપમાંથી ધિંગાણે ચડેલા વિર વાછરાડાડાને અઢારે વરણ પુજે છે જેના પરચા કળીયુગમાં પણ સાક્ષાતકાર છે. એવા ખંભાળિયા-દ્વારકા હાઇવે પરથી ૧૦ કિમીના અંતરે આવેલા બેહ ગામે બિરાજતા અને જુંગીવારા વાછરાભાના ભવ્ય મંદિરના તૃતિય પાટોત્સવ નિમિતે આગામી તા.૨૬ના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી શાંતી યજ્ઞ, બપોરે તથા સાંજે મહાપ્રસાદી, બપોરે ૪ કલાકે ચારણી રમત સહિતના સાંસ્કૃતિ કાર્યક્રમ તેમજ રાત્રીના ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં લોક સાહિત્ય કાર દેવાયત ખવડ તથા સંતવાણી આરાધક વિજય ગઢવી અને સાંજીદા ગૃપ જમાવટ લોક ડાયરાની જમાવટ કરશે.

બેહ ગામે જુંગીવારા વાછરાભાઇનો આશરે ૫૦૦ વર્ષ પહેલાનો ઇતિહાશ છે. બેહ ગામમાં આશરે ૫૦૦ વર્ષ પહેલા ઝૂંગી નામનું થેથુર વન હતું જેમાં માનવ ભક્ષી અસુર વસવાટ કરતો હોવા થી ગામના લોકોને રંજાળ કરતો હતો એક સમયે કરમઇ બાઇ નામની બાર વર્ષની ચારણ બાળા બપોરે પિતાને ભાતું આપવા વાડીએ જતી હતી તે સમયે આ અસુરે તેમના પર વાર કરવા જતાં કરમઇ બાઇ નામની ચારણ બાળા જાણે શકિતનો સાક્ષાત અવતાર જોગમાયા હતી અને પાંચોટીયા વાળા વિર વાછરાભાઇની ઉપાસક પણ હતી આથી અસુર વાર કરે એ પહેલા જ કરમય બાઇએ વિર વાછરાભાને હાકલ કરતા ત્રીજી હાકલે વિર વછરાજ ઘોડે અસવાર થઇ પ્રગટ થતાં જ કરમઇ બાઇની વારે આથી માનવભક્ષી રાક્ષસને હણી નાખ્યો જે પછી જોગમાયા અવતાર કરમઇ બાઇએ વાછરાભાઇને અહીં જ રહેવા અને ગામના લોકોની રક્ષા કરવા આદેશ કરી ચારણબાળ કરમઇબાઇએ ધરતીમાં જગ્યા કરી લેતા ગામના લોકોને આ વાત વાયુ વેગે ખબર પડતા જ ગામના લોકો દોડી આવતા કરમઇ બાઇ ધરતીમાં સમાઇ ગયા ત્યારથી જ બેહ ગામ પર વાછરાભાની કૃપા છે. જયારે બીજો પરચો ગામના લોકોને વાછરાભાઇએ આપ્યો હતો. જામ રજવાડા સમયે બેહ ગામનો કર વસુલવાનો બાકી હોય અને ગામને જામ રાજવી દ્વારા ખાલશા કરવાનો હૂકમ કરવામાં આવતા ગામમાં વસવાટ કરતા ગ્રામજનોને અન્યત્ર હિજરત કરાની ફરજ પડે તેમ હોવાથી ગામના લોકોએ વિર વાછરા ભાને મનોમન કરતા આખાયે ગામનો કર જામ રાજવીને ત્યાં વાછરાભાઇએ ભરી દઇ સાક્ષાતકાર પરચા પૂર્યા હતા.

જુંગીવારા વાછરાભાના મંદિરે શ્રધ્ધા સાથે માથુ ટેકાવી ગોઠીઓ કરે છે ત્યારે વાછરાભાઇ અચૂક પણે ઘા શુણી ગોઠીઓના કામપૂરા છે. બેહ ગામે બે વર્ષ પહેલા જ જૂંગીવારા વાછરા ડાડાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશાળ મંદિરની જગ્યામાં માં અંબાજી પણ બિરાજમાન છે. તેમજ બહાર ગામથી આવતા લોકો માટે દિવસ દરમ્યાન અન્નક્ષેત્રમાં પ્રસાદી આપવામાં આવે છે. જૂંગીવારાનું મંદિર જૂંગીવારા ધામ તરીકે ઓળખાય છે અહીં દર રવિવારે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. અને નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરનું આયોજન કરવામાં આવે છે. જેમાં અઢારે વરણના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

દ્વારકા જિલ્લામાં આસ્થાના તિર્થધામ તરીકે ઓળખવામાં આવતા જૂંગીવારા ધામ ખાતે આ ત્રિવેણી કાર્યક્રમમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સાંસદ પૂનમબેન માડમ પધારશે આ ઉપરાંત અઢારે વરણનો સમૂહદાય ઉમટી પડશે. જુંગીવારા ધામ, જુંગીવારા ગૃપ, જુંગીવારા અન્નક્ષેત્ર સમિતિ તથા સમસ્ત બેહગામના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(12:48 pm IST)