સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st May 2018

બાવળિયાળી ટ્રક અકસ્માતમાં મૃતાંક ૨૦: ત્રણ યુવાન સારવાર હેઠળઃ એક સગીર ગંભીર

ભાવનગર તા. ૨૧ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર (બંદર), ભારાપરા, પાદરી (ભંમ્મર) ગામના શ્રમજીવી પરિવારના બાળકો, યુવતી, યુવાન સહિતના રાજુલા તાલુકાના કોવાયા ગામ તરફથી સિમેન્ટ થેલીઓ ભરીને જતાં ટ્રક નં.૧૦.ટીવાય.૬૭૧૫ સિમેન્ટ ભરેલી ટ્રકમાં બેસીને આણંદ જિલ્લામાં ખેતમજૂરી કામે રોજીરોટી રળવા જવા નીકળ્યાં હતા.

દરમિયાનમાં મોડીરાત્રિના ટ્રક ભાવનગર થઈને બાવળિયારી હાઈ વે પરથી પસાર થતાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ચાલકે ગુમાવી દેતાં ટ્રક પલટી મારી ખાળિયામાં ખાબકયો હતો. જે ગોઝારા અકસ્માતમાં નાના બાળકો સહિત ૧૯ શ્રમિક વ્યકિતઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જયારે ગંભીર હાલતના કૈલાસબેન ધનજીભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉવ.રર) રહે.પંચશીલ સોસાયટી, તળાજા) તથા ભારાપરા ગામના મથુરભાઈ ભુરાભાઈ મકવાણા (ઉવ.ર૧), રોશનભાઈ અશોકભાઈ મકવાણા (ઉવ.૧ર), સરતાનપર (બંદર) ગામના ગગાભાઈ વીરૂભાઈ ચુડાસમા (ઉવ.૪૦) અને જેમાભાઈ લાખાભાઈ ડાભી (ઉવ.૩પ)ને વધુ સારવાર અર્થે ભાવનગર ખાતેની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડાયાં હતા.

જયાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં કૈલાસબેન ધનજીભાઈ (ઉવ.રર)નું ગઇકાલે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતુ. આ અંગે હોસ્પિટલ પોલીસે જરૂરી કેસ-કાગળો તૈયાર કરી આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસને મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. જયારે અન્ય ચાર વ્યકિતની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, વધુ ગંભીર હાલતના બાર વર્ષીય રોશન અશોકભાઈ મકવાણા (રહે.ભારાપરા, તા.તળાજા)ને વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને રિફર કરાયા હોવાનું પોલીસ સૂત્રોેએ જણાવ્યું હતુ.(૨૧.૧૩)

(12:24 pm IST)