શનીવારે 'પાસ' દ્વારા ધ્રાંગધ્રાના મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયત : ભાજપ - કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ
જો ધારાસભ્યો હાજરી નહી આપે તો તેમના ઘરે વિરોધ પ્રદર્શન કરાશે : હાર્દિક પટેલ
રાજકોટ તા. ૨૧ : પાટીદાર અનામત આંદોલનની ફરી વેગવંતુ કરવા માટે તા. ૨૬ને શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરાયું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે કે, તા. ૨૬ને શનિવાર રાત્રે ૭ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે પાટીદાર અનામત મુદ્દે પાટીદાર ન્યયા મહાપંચાયતમાં ગુજરાતના મુખ્ય પાટીદાર ગામડાઓમાંથી તમામ સાથીઓ ઉપસ્થિત રહેશે.
મહાપંચાયતમાં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા તથા નિર્દોષ પાટીદાર યુવાનો પરથી રાજદ્રોહ સમેત કેસ પાછા ખેંચવા માંગણી કરાશે.
આ અંગે હાર્દિક પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ મહાપંચાયતમાં ૨૫ હજારથી વધુ પાટીદારો ઉમટી પડશે અને ભાજપ - કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ પાઠવાયું છે અને તેઓ હાજરી નહી આપે તો તેમના ઘરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.