ગોંડલ આરટીઇ હેઠળ સેન્ટમેરી સ્કૂલમાં એડમિશન ન મળતાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
ગોંડલ, તા.૨૧: સરકારના નિયમ મુજબ ૫૭ વિદ્યાર્થીઓને સેન્ટ મેરી સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર છે. પરંતુ સ્કૂલ સંચાલકોએ લેખિતમાં એડમિશનની ના પાડી ગોંડલ ભગવતપરામાં રહેતા વાલીને શહેરની સેન્ટ મેરી સ્કૂલ નો કડવો અનુભવ થવા પામ્યો છે તેઓની પુત્રીને આરટીઇ હેઠળ એડમિશન ન મળતાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભગવત પરામાં રહેતા તસ્લિમ આરીફભાઈ સોલંકી દ્વારા આર.ટી.ઇ હેઠળ તેઓની પુત્રી જિયાના સેન્ટ મેરી સ્કૂલમાં એડમિશન માટે રજૂ કરાઇ હતી પરંતુ સ્કૂલ પ્રશાસન દ્વારા લેખિતમાં જણાવ્યું છે કે સેન્ટ મેરી સ્કૂલ આરટીઈ હેઠળ આવતી નથી અને આ સ્કૂલમાં આરટીઇના એડમિશન અપાતા નથી જેથી કરીને આપના સંતાનોને સેન્ટ મેરી સ્કૂલમાં એડમિશન મળવા પાત્ર નથી.
સેન્ટ મેરી સ્કૂલ દ્વારા લેખિતમાં આવો જવાબ આપાતા ભગવત પરામાં રહેતા તસ્લીમ ભાઈ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર, પ્રાંત અધિકારી ગોંડલ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંદ્ય સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. (૨૩.પ)