માળિયામિંયાણાના ખાખરેચીમાં એક જ દિ'માં ૫ મોત
કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : ૧૦ દિવસમાં જ ૨૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૧: માળિયા મીયાણા તાલુકાના ગામડાઓમા કોરોનાએ રીતસરનો ભરડો લીધો છે. કોરોના જાણે બેકાબૂ બનીને મોતનું તાંડવ ખેલવા બેઠો હોય તેમ ખાખરેચી ગામમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત નિપજયાં હતા અને એકટીવ કેસોની સંખ્યા પણ આ ગામમાં ત્રણના અંકમાં પહોંચી જવા પામી છે. માળિયા મીયાણા તાલુકાના લક્ષમીવાસ, નાના ભેલા, સરવડ, ચાચાવદરડા, તરદ્યરી જેવા ગામોમાં યુવા વયના લોકોએ કોરોના સામે જંગ હારી જીવ ગુમાવતા આ વિસ્તારોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ખાખરેચી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયાએ જણાવ્યું હતું કે માળિયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ ગંભીર છે. ખાખરેચી ગામમાં એક દિવસમાં પાંચ લોકો મોતને ભેટયા છે.
છેલ્લા દશ દિવસમાં ખાખરેચી ગામમાં ૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને એકટીવ કેસોની સંખ્યા એક જ ગામમાં એકસોથી વધુ છે. ચુંટણીઓ વખતે ગામડાઓ ખુંદી નાંખતા નેતાઓ આજે ડોકાતા નથી તેવો રોષ પણ વ્યકત કર્યો હતો.