કોડીનારના ઘાંટવડના જમદાગ્નિ આશ્રમના મહંત પર હુમલો
ફરિયાદ દાખલ કરવા કહેતા પોલીસ શ્વાન પાળવાની સલાહ આપ્યાનો મહંતનો આક્ષેપ.
ગીર સોમનાથના જિલ્લાના કોડીનારના ઘાંટવડ ગામમા આવેલા જમદાગ્નિ આશ્રમના મહંત હરિદાસ બાપુ પર હુમલો થયો છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ ચાર શખ્સો તરફથી આશ્રમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પથ્થર બાપુને લાગ્યો હતો.
હરિદાસ બાપુએ આક્ષેપ લગાવ્યો છે કે આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ પોલીસ તેની ફરિયાદ નથી નોંધી રહી. બીજી તરફ મહંત હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી રહ્યા છે. મહંતે આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસે એફઆઈઆર નોંધવાને બદલે તેને શ્વાન પાળવાની સલાહ આપી હતી
આ અંગે મહંત હરિદાસ બાપુએ જણાવ્યું કે, "રાત્રે 12 વાગ્યે મારા પર હુમલો થયો હતો. આ પહેલા દિવસે ચાર વાગ્યે ગામમાં મને માર મારવામાં આવ્યો હતો. જે બાદમાં હું ફરિયાદ આપવા માટે ગીર-ગઢડા પોલીસ સ્ટેશન ગયો હતો. અહીં પોલીસે મને સમજાવ્યો હતો અને બદનામી થશે તેવું કહીને ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.
હુમલો કરનાર વ્યક્તિએ દિવસે મને ગામમાં ગાળ આપી હતી. રાત્રે મારા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. એક પથ્થર મારા હાથમાં વાગ્યો હતો. 108ના સ્ટાફે આશ્રમ ખાતે પહોંચીને મારી સારવાર કરી હતી. મેં પોલીસને ફોન કરતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે, તેમણે મારી ફરિયાદ લીધી ન હતી. તેમણે મને એક શ્વાન પાળવાની સલાહ આપી હતી.