સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

પોરબંદર વિહિપ અને બજરંગદળ દ્વારા રામનવમીએ શોભાયાત્રાઃ ૩પ થી વધુ આકર્ષક ફલોટસ

૧૧૧ યુવાનો કેસરી સાફા પહેરીને જોડાશેઃ વેપારીઓ બપોર બાદ સ્વૈચ્છીક ધંધા બંધ રાખશેઃ રૂટ ઉપર મટકી ફોડ કાર્યક્રમો

પોરબંદર, તા., ૨૧: રામનવમીએ તા.રપ ના રોજ બપોરે ર.૦૦ વાગ્યે શ્રી રામ જાનકી મઠ, બ્રાન્ચ સ્કુલ સામે શીતલા ચોકથી વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ મહિલા વિભાગ, દુર્ગાવાહીની પ્રેરીત શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ભગવાનશ્રી રામના રથ તથા પાલખી સાથે નિકળશે.

રથયાત્રાના આયોજનમાં કુલ રપ૧ કાર્યકર્તાઓ મુખ્ય (પાત્રીસ) સમીતી બનાવી આયોજન કરેલ છે. વિશાળ હિન્દુ સમાજ જોડાઇને ભગાવનશ્રી રામનું પુજન-અર્ચન કરી વંદન કરશે. આ કાર્યક્રમની જાણકારી માટે કુલ ર૦,૦૦૦ પત્રીકાઓનું સ્વયંસેવકો દ્વારા જન-જન સુધી વિતરણકરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧રપ સ્વાગત બેનર અને મોટા ૧૧ હોર્ડીંગ્સ શોભાયાત્રાના રૂટમાં રાખવામાં આવ્યા છે. જે શોભાયાત્રાનું સ્વાગત કરશે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા ૪૭ એશોશીએશનો, બે ચેમ્બરો, રીક્ષા યુનીયન, સ્વૈચ્છીક પોતાના ધંધા રોજગારમાં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઇ સહકાર આપવાનું વચન આપ્યું છે. હિન્દુ સમાજના અલગ-અલગ સંપ્રદાયના ર૧ સંતો-મહંતો પોતાના ભકત મંડળો સાથે જોડાઇને શોભાયાત્રાની શોભા વધારશે તેમજ યાત્રાની આગેવાની લેશે.

સામાજીક સેવાકીય પ્રવૃતી કરતી ૭૦ જેટલી સંસ્થાઓ, ૪પ જેટલા યુવક મંડળો, ૩પ ગરબી મંડળો, ૪પ હોળી મંડળ અને ર૧૦ ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રી રામના જયઘોષ સાથે અલગ-અલગ વિસ્તારમાંથી જોડાશે. રપ ધુન ભજન મંડળ પોતાની ટીમ સાથે શોભાયાત્રાના સમય દરમ્યાન સતત શ્રી રામધુન કરશે. હિન્દુ સમાજની ૬ર જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાશે. શહેરના પ્રતિષ્ઠીત ૧રપ જેટલા બુધ્ધિજીવીઓ, પત્રકાર મિત્રો જોડાશે.  વેપારીભાઇઓ બપોર  પછી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રથ તથા પાલખી આસપાસ અયોધ્યામાં બે-બે વખત કારસેવામાં જોડાયેલા ૧૧૧ કાર્યકર્તાઓ વિવિધ કલરના સાફા પહેરી ભગવાન શ્રી રામના રથની જરૂરી વસ્તુઓ ધારણ કરી આકર્ષક સાથે દ્રશ્ય બનાવશે.

શોભાયાત્રા જયાંથી પ્રસ્થાન થવાની છે તે જાનકી મઠ, રામ મંદિર બ્રાન્ચ સ્કુલ પાસે હિન્દુ સમાજની બહેનો રંગોળી તથા સુશોભન કરશે તેમજ મંદિરને આગવા શણગારથી શણગારી શોભામાં વધારો કરશે.

વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગદળ પ્રેરીત આ શોભાયાત્રા આ વખતે તમામ બરડા પંથક તેમજ ઘેડ પંથકના તમામ ગામડાઓનો પ્રવાસ કરવામાં આવેલ અને ગામડે ગામડે હિન્દુ ખેડુતભાઇઓને શોભાયાત્રામાં જોડાવા આહવાન કરવામાં આવેલ તેજ રીતે આ શોભાયાત્રામાં એક અલૌકીક વાતાવરણ ઉભુ કરવા માટે પ૦૦ જેટલા યુવાનોએ એક દિવસના ઉપવાસ કરશે અને તમામ યુવાનો શોભાયાત્રામાં જોડાશે.

ભગવાનશ્રી રામના રથ તથા પાલખી સાથે અલગ-અલગ ૩પ ફલોટસ ફોર વ્હીલરમાં સાથે નિકળશે તેમજ આ ફલોટસમાં ર૦૦ જેટલા નાના બાળકો અલગ-અલગ વેશભુષા ધારણ કરી લોકોને આકર્ષીત કરશે. ૧પ ઘોડેશ્વાર અને ૬ ઉંટ સ્વાર પણ આ રથયાત્રાની સતત સાથે રહેશે.

શોભાયાત્રા રૂટ જાનકી મઠ, રામમંદિરથી શરૂ થઇ શીતલા ચોક, ડો.હેડગેવાર ચોક (હનુમાન ગુફા) એસ.વી.પી. રોડ પર આગળ વધી રામ ટેકરીથી પારસ ડેરી થઇ સ્વાગત કોર્નર પાસેથી એમ.જી.રોડ, એવરગ્રીન, સુદામાં ચોક, પ્લાઝા, ડ્રીમલેન્ડ, મહાલક્ષી મંદિર, માણેક ચોક થઇ સ્વસ્તીક ભુવન, નવી બંદર ખારવા જ્ઞાતિની વાડી પાસેથી લઇ પાલાનો ચોક, ખારવા જ્ઞાતિના પંચાયત મંદિર (મઢી) પસોથી પસાર થઇ ઐતિહાસીક શહીદ ચોક પહોંચશે. જયાં નવાપાડા ગણેશ મંડળ સ્વાગત કરશે ત્યાંથી શ્રી રામમંદિર મહાઆરતી કરી ભગવાનશ્રી રામના આવતા વર્ષ ફરી ભવ્ય જન્મોત્સવ ઉજવવાના પવિત્ર સંકલ્પ કરી શોભાયાત્રાને વિરામ આપશે.

શોભાયાત્રામાં કુલ ૧૦૧ જગ્યાએ અલગ-અલગ સમાજના લોકો દ્વારા ઢોલ-નગારા અને શરણાઇના શુરે સ્વાગત થશે. ઉપરાંતમાં કુલ ૧પ જગ્યાએ ઠંડા પીણા, છાશ, પાણીની ભકતજનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પોરબંદરના મુખ્ય ચોક કે જાહેર સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. જેના માટે અલગ કાર્યકર્તાઓ ટીમ બનાવવામાં આવેલ છે. સાથે સાથે શોભાયાત્રામાં કાર્યકર્તાઓ અલગ-અલગ વેષભુષાઓ ધારણ કરીને ધાર્મિક વાતાવરણ ઉભુ કરાશે. શોભાયાત્રા માટે વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ દ્વારા રાષ્ટ્રીય સેવીકા સમીતીના બહેનો જહેમત ઉઠાવી રહેલ છે. તમામ હિન્દુ સમાજના ભાઇ-બહેનોને રામનવમીની શોભાયાત્રામાં જોડાવા શોભાયાત્રા સંયોજક નિલેષભાઇ રૂધાણી દ્વારા જાહેર અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.

(1:12 pm IST)