ઉપલેટા-તાલુકામાં ભાજપ વિરૂધ્ધ મતદાન કરાતા કિન્નાખોરી રખાયાનો સરપંચનો આક્ષેપ
ઉપલેટા, તા., ૨૧: ગઢાળાના સરપંચ નારણભાઇ આહીરે રાજય સરકાર ઉપર કિન્નાખોરીનો આક્ષેપ કરતા એક નિવેદનમાં જણાવેલ છે કે મત વિધાનસભાની ચુંટણીમાં શહેર અને તાલુકામાં ભાજપ વિરૂધ્ધ મતદાન કરતા કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઇ વસોયાને વિજય અપાવતા ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરી શરૂ કરેલ છે. તાલુકાની અનેક સરકારની વિકાસ યોજનાઓ અટકાવી દીધી છે. ગામડામાં પીવાના પાણી માટે મહિલાઓને દુર દુર સુધી ભટકવું પડે છે.
ગામડાના રસ્તાઓ બિસ્માર છે. સમયસર વિજળી મળતી નથી. ટેકાના ભાવે ખરીદીમાં મામકાવાદ ચાલે છે સગા સંબંધીઓની જણસી ટેકાના ભાવે લેવામાં આવે છે. ગામડાના ઘણા જ એસટીના રૂટો બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ખાનગી વાહનોના ઉંચા ભાડા ચુકવવા પડે છે. આ વિસ્તારના ખેડુતોને રોકાતા પાક વિમાની રકમ પણ હજુ સુધી મળી નથી આવી અનેક બાબતે સરકાર કિન્નાખોરી રાખી રહી છે તેવો આક્ષેપ કરેલ છે.