સિંહ દર્શન માટે ઇન્દ્રેશ્વર સફારી પાર્ક શરૂ કરાશે : વિજયભાઇ રૂપાણીની જુનાગઢમાં જાહેરાત
જુનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાયું હતું. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે, કોરોનાકાળ વચ્ચે છેલ્લા મહિનાઓમાં રાજયના સર્વાગી વિકાસને આવરી લેતા રૂ. ૨૭૦૦૦ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યા છે. આધુનિક શહેરોમાં હવે ગુજરાતના શહેરો બરાબરી કરશે તેમજ ઐતિહાસિક શહેર જૂનાગઢની ભવ્યતા પુનઃ સ્થાપીત કરાશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જૂનાગઢ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જૂનાગઢ શહેર માટે રૂ.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના અને સાસણ ગીર દેવળિયા ખાતે રૂ.૩૨ કરોડના પ્રવાસી સુવિધાના વિકાસકામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયુ હતું. આ પ્રસંગે તેમણે વધુમાં કહ્યુ કે, અગાઉની સરકારમાં યોજના અને વિકાસના નામે નાટકો થતા હતા. જયારે અમારી સરકાર સમય મર્યાદામાં યોજનાની આખી પ્રક્રિયા પૂરી કરે છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગીરનારની ગોદમાં સ્થિત ઇન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક શરૂ કરાશે. આ માટે વન વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જૂનાગઢ ટુરીસ્ટ હબ બનતા આર્થિક વિકાસ થશે. રસ્તા સ્વચ્છતા સહિતની સુંદર વ્યવસ્થાથી દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રભાવિત થશે અને જૂનાગઢની યાદગીરી અવીસ્મરણીય બનશે.
પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જૂનાગઢ પ્રવાસનનું હબ છે. અહીં ગુજરાતમાં સૌ પ્રથમ બહાઉદ્દીન કોલેજ, નરસિહ મહેતાનો ચોરો અને સરકીટ હાઉસ પાસેની પાણીની ઉંચી ટાંકી થ્રી ડાઇમેન્શન લાઇટથી જળહળતી કરાશે. સાસણમાં ૩૨ કરોડના જે કામ થવાના છે તેનાથી સાસણની કાયાપલટ થશે. સાથે સાથે થ્રી જનરેશનને ધ્યાને લઇ સમગ્ર કુટુંબ પ્રવાસન સ્થળોને માણી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. જૂનાગઢ અને સાસણ પ્રવાસનની દ્રષ્ટીએ વિશ્વના નકશામાં આગવુ સ્થાન ધરાવે છે તેના વિકાસમાં વિશેષ રસ-રૂચી માટે મુખ્યમંત્રીશ્રી પ્રત્યે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આભારની લાગણી વ્યકત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે સ્વાગત પ્રવચન કરવા સાથે જૂનાગઢ શહેરની વિકાસયાત્રાની વિગતો આપી હતી. તેમણે જૂનાગઢના જોષીપુરા અને બસસ્ટેશન પાસે ઓવર બ્રીજ બને તેમજ જૂનાગઢને ફાટક મુકત કરવા લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, કલેકટર ડો.સૌરભ પારઘી, પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જીનીઅર, અગ્રણી નટુભાઇ પટોળીયા, શૈલેષભાઇ પંડ્યા, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધી મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ કરી હતી.