ભાયાવદર મુકામે યોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૦૦૦ દર્દીઓને સારવાર અપાઇ
ભાયાવદર ઉપરાંત આસપાસના અસંખ્ય લોકોને મળેલો લાભ
ઉપલેટા તા.૨૧ : તાલુકાના ભાયાવદર ગામે એચ.એલ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફુલછાબ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટ એચજીસી હોસ્પિટલ રાજકોટ અને સર્વોદય કેળવણી મંડળ ભાયાવદરના સહયોગથી રાજકોટ, ઉપલેટા, ધોરાજીના ડોકટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતુ.
કૃષ્ણકાંત ચોટાઇએ જણાવેલ હતુ કે ભાયાવદરમાં પ્રથમ વખત જે ચેકઅપ સાથે દવા પણ મફત આપી હોય તેવો આ સૌથી મોટો મેડીકલ કેમ્પનું આયોજન સૌરાષ્ટ્ર માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરેલ છે. આ ટ્રસ્ટ અંગે માહિતી આપતા જણાવેલ હતુ કે, સૌરાષ્ટ્રમાં જૂદા જૂદા વિસ્તારોમાં રહેતા ૩૦૦ જેટલા કુપોષીત બાળકોને શોધી તેઓને આયુર્વેદિક પધ્ધતી ઉપચાર કરી તેઓને નિરોગી બનાવેલ હતા. યુવાનોમાં વાચનની ભૂખ ઉઘડે તે માટે ૬૦૦૦ યુવાનો માટે બુકફેરનુ આયોજન કરેલ.સૌરાષ્ટ્રભરમાં થી ૩૦૦૦ જેટલા દિવ્યાંગ બાળકોને રાજકોટ બોલાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દિવ્યાંગો માટેના કાર્યક્રમનું આયોજન કરેલ હતુ. આ ઉપરાંત અબાલ વૃધ્ધો સૌ માટે આ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સામાજીક કાર્યક્રમો યોજાય છે. જેમના ભાગરૂપે અહિયા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતુ.ત્યારબાદ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા સૌરાષ્ટ્ર માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન અને ફૂલછાબ રાજકોટના મેનેજર નરેન્દ્રભાઇ જીબા, સર્વોદય મંડળ ભાયાવદરના મે.ટ્રસ્ટી પી.ટી.માકડીયા, ઉપલેટા તા.પં.ના પ્રમુખ ભાયાવદર ન.પા. પ્રમુખ રેખાબેન માકડીયા, ઉપપ્રમુખ બાઘાભાઇ ખાંભલા કારોબારી સમિતિના ચેરમેન નયનભાઇ જીવાણી, લાઠીગરાભાઇ કોલેજના પ્રિ. સવસાણી દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો.
ત્યારબાદ ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ અને સમારંભના અધ્યક્ષ પી.ટી.માકડીયાએ જણાવેલ હતુ કે સૌરાષ્ટ્રમાંથી અખબારોતો ઘણા નીકળે છે પણ ફૂલછાબ જૂદૂ જ પેપર છે આખા ફૂલછાબમાં કયાય અરૂચી થાય તેવા સમાચાર કે ફોટા આ અખબારમા જોવા નહિ ફૂલછાબનું વેચાણ ભલે ઓછુ હશે પણ તેમની વિશ્વસનીયતા વધારે છે તેઓએ આ કેમ્પ ભાયાવદરમાં કરવા બદલ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ફૂલછાબને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ઉપલેટા તા.પં.ના પ્રમુખ લાખાભાઇ ડાગરે ફુલછાબ દ્વારા ભાયાવદરને પસંદ કરીને તેઓને ઉપયોગી થવા બદલ અભિનંદન પાઠવેલ હતા. આ કેમ્પમાં સાંજ સુધીમાં એક હજાર ઉપરાંત દર્દીઓને તપાસવામાં આવેલ જેમાં આંખના અને હાડકાના દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળેલ હતી. આ કેમ્પમાં ડો.મુકુંદ વીરપરીયા (રાજકોટ), ડો.અનુરથ સાવલીયા (રાજકોટ), ડો.ધર્મેશ ભટ્ટી (રાજકોટ), ડો.ધવલ મહેતા (ઉપલેટા), ડો.નિલેશ જોશી (ધોરાજી), ડો.દિલીપ શાહ (રાજકોટ), ડો.શાહનવાઝ મકડી (ઉપલેટા), ડો.રશ્મી મહેતા (ઉપલેટા), ડો.આમીર કાઝમી (રાજકોટ), ડો.પ્રણવ શાદિ (રાજકોટ) અને ડો.ચિરાગ તાવીયા (રાજકોટ) વાળાએ માનદ સેવા આપતા ફૂલછાબ પરિવારે તેઓનો આભાર માનેલ.
કાર્યક્રમનું સંચાલન પ્રો.માયાવંશીએ જયારે આભારવિધિ પ્રિન્સીપાલ સવસાણી સાહેબે કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણકાંતભાઇ ચોટાઇ, રમેશભાઇ સાંગાણી, દિપકભાઇ જોબનપુત્રા, હિતેશભાઇ લાંબા, અમીતભાઇ શાહ, દેવેન્દ્રભાઇ લાઠીગરાએ જહેમત ઉઠાવી હતી.