વડિયાના અમરાપુર ગામે મારી ડેલી સામે શું કામ જુવે છે ? કહી દંપતિએ કર્યો હુમલો
વડિયા તા. ૭ : તાલુકાના અમરાપુર ગામે જૂના ઝઘડાના મનદુઃખના કારણે ખાર રાખી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ હતી. જાણવા મળતી વિગત અનુસાર દર્શિલ જયસુખભાઇ ભીમાણી પોતાના મિત્ર અંકિતના ટ્રેકટરમાં પંચર થતા તેમની મદદ માટે ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે ધનજીભાઈ વલ્લભભાઈ ગેવરિયાના ઘર પાસેથી નીકળતા તું મારી ડેલી સામે શું કામ જુવે છે ? આવું કહી તેમને ધારિયા વડે હુમલો કરતા ફરિયાદી દર્શિલને ડાબા હાથે ધારિયું લાગ્યું હતું. ત્યારે હુમલો કરનાર ધનજીભાઈના પત્ની વિજયાબેન પોતાની ડેલીમાંથી કુહાડી લઈને હુમલો કર્યો હતો. પરંતુ કુહાડીનો ઘા લાગ્યો ના હતો. ફરિયાદી દર્શિલ દ્વારા રાડારાડી થતા લોકો ભેગા થતા તેમને ૧૦૮ મારફતે કુંકાવાવ હોસ્પિટલમાં ખસેડાતા તેમને ત્યાંથી વડિયા પોલીસમા પોતાના પર જૂના ઝઘડાના ખાર રાખી ધનજીભાઈ વલ્લભભાઈ ગેવરિયા અને વિજયાબેન ધનજીભાઈ ગેવરિયા દ્વારા હુમલો કરી ઇજા પહોંચાડ્યા અને ગાળો આપ્યાની ફરિયાદ કરતા તેમની વિરૂધ્ધમા આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વડિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.